top
PM મોદી 8 સપ્ટેમ્બરે નવસારી ‘નમો કમલમ’નું ઉદઘાટન કરશે:પાટીલ અને હર્ષ સંઘવીએ બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, પાર્કિંગ, ટ્રાફિક સહિતની સમીક્ષા કરી; સ્થળ મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેમના આગમન અને કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા. બંને નેતાઓએ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા, પ્રોટોકોલ, પાર્કિંગ, ટ્રાફિક નિયમન તેમજ સભા સ્થળના આયોજન અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે વહીવટી તંત્રને તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ કરવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. ₹10 કરોડના ખર્ચે તૈયાર થયું ‘નમો કમલમ’ નવસારી ખાતે અંદાજે ₹10 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. સર્કિટ હાઉસ ખાતેની વહીવટી બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી નવનિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલયની મુલાકાત લેશે. ત્યાં ચાલી રહેલી અંતિમ તબક્કાની તૈયારીઓ, સ્ટેજ વ્યવસ્થા અને સભા મંડપના સ્થળનું નિરીક્ષણ કરી કાર્યકરો તથા આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
Read full article on Divya Bhaskar