crime
પુણાની રણુજા ધામ સોસાયટીમાં સહાયથી વંચિત દુકાનદારોમાં આક્રોશ:ધક્કા ખવડાવવાને બદલે સ્થળ પર સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા ઉગ્ર માંગ, ખાડીપૂરમાં બરબાદીના એક મહિના બાદ પણ તંત્ર નિંદ્રાધીન
સુરત શહેરના પુણા વિસ્તારમાં વોર્ડ નંબર 16ની રણુજા ધામ સોસાયટીમાં ખાડી પૂરના કારણે થયેલા નુકસાનની સહાય ન મળતા સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. 7 જુલાઈના રોજ સામાન્ય વરસાદ અને તંત્રની બેદરકારીના કારણે ખાડીનું પાણી સોસાયટીમાં ફરી વળ્યું હતું, જેના લીધે આશરે 6થી 7 ફૂટ પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારીઓ તેમજ દુકાનોમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું હતું. સહાયના ઓનલાઈન ફોર્મ ભરવામાં સર્વર, તકનીકી ખામી પૂરની ઘટનાને એક મહિનો જેટલો સમય વીતી ગયો હોવા છતાં વેપારીઓને હજુ સુધી કોઈ સહાય મળી નથી. વેપારી ભદ્રેશકુમાર વાળુ અને અન્ય સ્થાનિકોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા કેશડોલની રકમનું વિતરણ ડોર-ટુ-ડોર સર્વે કરીને ઝડપથી પૂર્ણ કરી દેવાયું, પરંતુ વેપારીઓ માટે જાહેર કરાયેલા આર્થિક પેકેજમાં તંત્રની ભારે નિષ્ક્રિયતા સામે આવી છે. ઓનલાઇન પોર્ટલ પર ફોર્મ ભરવામાં સર્વર અને તકનીકી ખામીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ વેપારીઓને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ખાવા પડે છે અને ટર્મ લોન પાસ કરાવવામાં પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ડોર-ટુ-ડોર સર્વે કરી સહાય ચૂકવવા માગ ખાડી ઓવરફ્લો થવાની આ સમસ્યા ચોમાસામાં વારંવાર બનતી હોવાથી વેપારીઓને સતત હાલાકી ભોગવવી પડે છે. નુકસાનગ્રસ્ત દુકાનદારોએ સરકાર અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે કે જટિલ ઓનલાઇન પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે અને અધિકારીઓ સ્થળ પર આવી ડોર-ટુ-ડોર સર્વે કરી વહેલી તકે સીધી સહાય ચૂકવે, જેથી તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
Read full article on Divya Bhaskar