crime
પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદથી ધરપકડ:શેલામાં બહેનના ઘરેથી મળી આવ્યા, રૂ. 3.56 કરોડની આવક કરતા વધુ સંપતિનો કેસ નોંધાયો'તો
આણંદના પૂર્વ અધિક કલેકટર કેતકી વ્યાસ સામે અગાઉ 3.56 કરોડથી વધુના અપ્રમાણસર મિલ્કતનો કેસ એસીબીએ નોંધ્યો હતો. જેમાં આવકની સામે 64.84 ટકા જેટલી વધુ આવક હોવાનું સામે આવ્યું હતું. તે કેસમાં ફરાર કેતકી વ્યાસને ક્રાઇમ બ્રાન્ચે શેલામાં તેની બહેનના ઘરેથી ઝડપી પાડી છે. બાદમાં હાલમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એસીબીને સોંપી છે. રોકડ વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિ કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકીબેન ભાસ્કરભાઈ વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઈકોર્ટ તરફથી અગાઉ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી ACB અમદાવાદ શહેર દ્વારા વર્ષ 2012 થી 2023 દરમિયાન આણંદ ખાતે RAC તરીકે ફરજ બજાવનાર કેતકી વ્યાસ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી અને તેમના સગાંઓના ખાતામાં રૂ. 1.11 કરોડની રોકડ રકમ જમા થઈ હતી. મિલકતોની ખરીદી માટે રૂ. 1.18 કરોડની ચૂકવણી પણ રોકડેથી કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડથી બચવા માટે કેતકી વ્યાસે આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીનું મકાન બંધ છે અને તેઓ હાલ ફરાર હોવાથી તંત્ર દ્વારા મકાન સીલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પરિવારની પૃષ્ઠભૂમિ અંગે પણ વિગતો રજૂ કરાઈ હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે મિલકતોના દસ્તાવેજો, બેંક વ્યવહારો અને ડિજિટલ પુરાવા એકત્ર કરવા માટે આરોપીની કસ્ટડીમાં પૂછપરછ થવી જરૂરી છે. જેથી આગોતરા જામીન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ચુકાદામાં કોર્ટે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ રાષ્ટ્રનો દુશ્મન છે અને તે દેશના આર્થિક સ્વાસ્થ્યને લકવાગ્રસ્ત કરે છે.
Read full article on Divya Bhaskar