politics
રાજકોટમાં 139 એનિમી પ્રોપર્ટીમાંથી 54 હિજરતી મિલકતો:ભાગલા સમયે પાકિસ્તાન વસેલા નાગરિકોની ભારતમાં રહેલી પ્રોપર્ટીની હરાજી કરાશે
રાજકોટ જીલ્લામાં 139 એનીમી પ્રોપર્ટીમાંથી 54 હિજરતી મિલકતો હોવાનું જાહેર થયું છે. આ અંગે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા મુંબઈની કસ્ટોડીયન ઓફ ઈન્ડીયાની કચેરીને દરખાસ્ત કરવામાં આવનાર છે. 1965 ના યુદ્ધ અને ભારત- પાકિસ્તાનનાં ભાગલા બાદ ગુજરાત સહીત દેશભરમાંથી અનેક લોકો ભારત છોડી પાકિસ્તાનના નાગરીક બન્યા હતા. આ પ્રકારના નાગરીકોની ભારતમાં રહેલી મિલકતોને એનીમી પ્રોપર્ટી તરીકે જાહેર કરવામાં આવી છે. આવી મિલકતોને કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી હેઠળ આવરી લેવામાં આવી છે. એનિમી પ્રોપર્ટી એટલે એવી મિલકતો કે જેના પર ભારતીય નાગરિકની દુશ્મન દેશના વ્યક્તિ સાથે માલિકી હક્ક હોય. આ પ્રકારની રાજકોટ જીલ્લામાં 139 જેટલી એનીમી પ્રોપર્ટીની કસ્ટોડીયન ઓફ ઈન્ડીયા મુંબઈની કચેરીની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જીલ્લા જમીન દફતર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડ કચેરીનાં સર્વેયરો સાથે સર્વે કરી તેની વેલ્યુએશનનુ આંકલન કર્યું હતું. હવે આ એનીમી પ્રોપર્ટીમાંથી 54 હીજરતી મિલકતો હોવાનું સામે આવ્યું છે. હિજરતી મિલકતો એટલે એવી કે ભારત - પાકિસ્તાનના ભાગલા સમયે ભારતથી પાકિસ્તાન ગયેલા વ્યક્તિઓ કે જેઓ ભારતમાં પોતાની મિલકતો છોડી ગયા હોય. જેથી આ પ્રકારની મિલકતો અંગે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મુંબઈની કસ્ટોડીયન ઓફ ઈન્ડીયાની કચેરીને દરખાસ્ત મોકલવામાં આવશે. રાજકોટ જીલ્લાની કસ્ટોડીયન ઓફ એનીમી પ્રોપર્ટી હસ્તકની સર્વે કામગીરી અને વેલ્યુએશનનું આંકલન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં 54 હિજરતી મિલકતો હોવાનું ખુલતા આ મિલકતોનો એનીમી પ્રોપર્ટીમાં સમાવેશ નહિં કરવા આ દરખાસ્ત કરવામાં આવનાર છે. અગાઉ જીલ્લામાં એનીમી પ્રોપર્ટીમાં સૌથી વધુ જેતપુરમાં 44, ઉપલેટામાં 12, પડધરીમાં 4, ધોરાજીમાં 3, ગોંડલમાં 2 કોટડાસાંગાણીમાં 1 જસદણમાં 4, રાજકોટમાં 2, પ્રોપર્ટી સહીત જીલ્લામાં આવી મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો આ મિલકતોમાં ખેતીની જમીનો અને રહેણાંકનાં મકાનો હોવાનું ખુલ્યું હતું.
Read full article on Divya Bhaskar