health
રાજકોટમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો:મનપાનાં ચોપડે આશ્ચર્યજનક રીતે કેસમાં ઘટાડો થયો ! સ્વાઇન ફલૂનાં આંકડા જાહેર કરવા તંત્રનો ઈન્કાર
રાજકોટમાં છેલ્લા એક મહિનાથી ડબલ ઋતુના કારણે રોગચાળાના 1525 કેસ નોંધાયા, જેમાં શરદી-ઉધરસના 668, સામાન્ય તાવના 664 અને ઝાડા-ઉલ્ટીના 190, ટાઇફોઇડના 2 ઉપરાંત ડેંગ્યુનો 1 કેસ સામે આવ્યો છે. બીજીતરફ રાજ્યના આરોગ્ય વિભાગનો હવાલો આપી મનપા કે સિવિલ હોસ્પિટલ દ્વારા સ્વાઇન ફલૂ અંગે કોઈ આંકડા જાહેર કરાયા નથી, તો ખાનગી હોસ્પિટલોમાં લેબોરેટરી ટેસ્ટના નામે હજારો રૂપિયા વસુલાતા હોવાની ફરિયાદો ઉઠી છે. ખાનગી દવાખાનામાં દર્દીઓનું ભારે વેઇટિંગ જોવા મળી રહ્યું છે, છતાં મનપા અગાઉના 2420 કેસ સામે 1525 કેસ દર્શાવી રોગચાળો ઘટ્યાનો દાવો કરી રહી છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં લાવવા 89,268 ઘરોમાં પોરાનાશક અને 584 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ છે. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરીને રહેણાંકમાં 212 અને કમર્શિયલ 61 મળી કુલ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત 1,77,681 વસ્તીનો સર્વે કરી 4,362 ક્લોરીન ટેબ્લેટ, 792 ORS પેકેટનું વિતરણ અને 2,340 RC ટેસ્ટ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારને પગલે રાજકોટ માર્કેટયાર્ડનાં વિવિધ વિભાગોમાં રજા જાહેર રાજકોટમાં પવિત્ર જન્માષ્ટમીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે માર્કેટયાર્ડના અલગ-અલગ વિભાગોમાં ખરીદ-વેચાણની કામગીરી બંધ રાખવા માટે રજાઓની જાહેરાત કરવામાં આવી છે. APMC દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર મુખ્ય યાર્ડ-બેડી ખાતે તા. 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી તમામ કામગીરી સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત શાકભાજી વિભાગ, બટેટા વિભાગ તેમજ સબયાર્ડ રાજકોટમાં તા. 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર દરમિયાન રજા પાળવામાં આવશે, જેથી આ દિવસોમાં હરાજી તેમજ ખરીદ-વેચાણ પ્રક્રિયા બંધ રહેશે. અન્ય વિભાગોની વાત કરીએ તો ડુંગળી વિભાગમાં તા. 2 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી અને ઘાસચારા વિભાગમાં તા. 4 અને 5 સપ્ટેમ્બર રજા જાહેર કરવામાં આવી છે. નિયત રજાના દિવસો પૂરા થયા બાદ તમામ વિભાગોમાં કામગીરી પૂર્વવત શરૂ થશે. બજાર સમિતિ દ્વારા તમામ ખેડૂતોને રજાના દિવસોમાં માલ નહીં લાવવાની અપીલ કરવામાં આવી છે. કોઠારીયા ચોકડી પર ફ્લાયઓવર દિવાલવાળાને બદલે પિલરવાળો બનાવવા રજૂઆત રાજકોટના ગોંડલ ચોકડીથી કોઠારીયા મેઇન રોડ પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ચાલી રહેલી કામગીરી સંદર્ભે વોર્ડ નં. 18ના કોર્પોરેટર ભારતીબેન પરસાણાએ હાઇવે ઓથોરિટીને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે. ખોખળદડી નદીથી ગોંડલ રોડ ચોકડી સુધીનું બ્રિજ સિવાયનું સ્ટ્રક્ચર ફૂટ-ઓવર ટાઇપ (દિવાલવાળું) બનાવવામાં આવી રહ્યું છે, તેના બદલે ફ્લાયઓવર ટાઇપ (પિલરવાળું) ડિઝાઇન કરવા માગ કરી છે. હાલમાં કોઠારીયા ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે અને 2.50 લાખની વસ્તી તેમજ લોઠડા, પીપળાણા અને નારણકા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વાહનોની સતત અવરજવર રહે છે. ચોમાસામાં પણ અહીં હયાત બ્રિજમાં પાણી ભરાવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. જો આ બ્રિજ દિવાલવાળો બનશે તો ટ્રાફિકની સમસ્યા યથાવત રહેશે. હીરાસર એરપોર્ટથી પીપળીયા સુધી 6-લેન ગ્રીન કોરિડોર પણ બની રહ્યો હોવાથી અહીં હેવી ટ્રેલર અને કન્ટેનર આસાનીથી નીકળી શકે તે માટે 30 મીટર આવક અને 30 મીટર જાવક ધરાવતો પિલરવાળો બ્રિજ બનાવવા માંગ કરાઈ છે. મટકી ફોડ માટે નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીને આમંત્રણ: મનપાના આયોજન સામે પડકાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે 4 સપ્ટેમ્બરે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પ્રથમ વખત સાર્વજનિક મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આયોજનની જાહેરાત બહુ મોડી કરાતાં ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે હજુ સુધી એકપણ ગોવિંદા ગ્રુપની સત્તાવાર એન્ટ્રી આવી નથી. માત્ર સુરતના 2 ગ્રુપ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. મટકી ફોડ માટે કસરતી અને તાલીમબદ્ધ ગોવિંદાઓ જરૂરી હોય છે, જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની જેમ મટકી ફોડ વધુ પ્રચલિત નથી. આથી એન્ટ્રી મેળવવા મનપાએ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોવિંદા ગ્રુપોને આમંત્રિત કરવા પડી રહ્યા છે. બીજી તરફ, ટીમ નક્કી ન હોવા છતાં મનપાના હોદ્દેદારોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીને હાજરી આપવા આમંત્રણ પાઠવી દીધું છે, જોકે બંને નેતાઓ તરફથી હજુ સુધી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી.
Read full article on Divya Bhaskar