top
રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ:રેસકોર્સ મેદાનમાં મેળામાં વીજ પુરવઠો પૂરો પાડવા PGVCL સજ્જ, ગત વર્ષનું વીજ બિલ અંદાજિત રૂ.10 લાખ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન જન્માષ્ટમી નો લોકમેળો યોજાવાનો છે ત્યારે તેમાં 228 સ્ટોલ અને પ્લોટ ધારકો તેમજ ત્યાં ઉમટી પડનારા 15 લાખ જેટલા લોકોની સુરક્ષા માટે પીજીવીસીએલ અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવનાર છે. લોકમેળા દરમિયાન વિજળી એ ખૂબ જ જરૂરી છે ત્યારે થોડા જ દિવસોમાં રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થશે. નોંધનીય છે કે, ગત વર્ષે લોકમેળાનું વીજળીનું બીલ રૂ.10 લાખની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે. લોકમેળાના ગ્રાઉન્ડને પીજીવીસીએલ દ્વારા અન્ડર ગ્રાઉન્ડ કેબલથી સજજ કરાશે તેમજ 17 જેટલા ટ્રાન્સફર મુકવામાં આવશે. આ અંગેની કામગીરી ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. લોકમેળામાં સ્ટોલ, યાંત્રિક રાઈડ્સ, લાઈટિંગ અને અન્ય સુવિધાઓ માટે વીજળીની જરૂર પડતી હોય છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વીજળીનું સંચાલન પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.જેમાં આ વર્ષે સમગ્ર મેળામાં વીજ પુરવઠો દિનદયાળ અને જંકશન ડિવિઝનમાંથી પૂરો પાડવામાં આવશે. આ ઉપરાંત મેળામાં 90 કિલો વોલ્ટના 17 ટ્રાન્સફોર્મર, 5 કિલો વોલ્ટના 10 થી 15 અને 50 કિલો વોલ્ટનું 1 ટ્રાન્સફોર્મર રાખી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ મેળામાં આકસ્મિક લાઈટ ગુલ થવાના પ્રશ્નો કે કોઈ ઇમરજન્સી ઘટના બને તો પોલીસ હેડક્વાર્ટર ગેટ પાસે પીજીવીસીએલનો કંટ્રોલરૂમ તૈનાત રાખવામાં આવશે જેમાં બેડી નાકા અને અન્ય સબ ડિવિઝનમાંથી 100થી વધુ કર્મીઓ તૈનાત રાખવામાં આવનાર છે.
Read full article on Divya Bhaskar