top
રાજવી પરિવારના ગણેશજીની મૂર્તિને અંતિમ ઓપ:100 વર્ષથી ચૌહાણ પરિવાર જ પ્રતિમા તૈયાર કરે છે, શાહી ઠાઠ સાથે થશે શ્રીજીની સ્થાપના
વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન પર્વે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેની પાછળ એક ખૂબ અનોખો અને ઐતિહાસિક વારસો જોડાયેલો છે. આ રાજવી પરિવાર માટે ગણેશજીની પ્રતિમા તૈયાર કરવાની વિશેષ જવાબદારી આશરે સો વર્ષથી શહેરના ચૌહાણ પરિવાર દ્વારા શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવી રહી છે. ગાયકવાડ પરિવાર અને ચૌહાણ પરિવાર વચ્ચેનો આ સંબંધ માત્ર કલાત્મક જ નહીં, પરંતુ ગાઢ આસ્થા અને પરંપરાનો સંબંધ છે. કલાકાર પિતાના અવસાન બાદ પુત્રોએ પરંપરા જાળવી ચૌહાણ પરિવારે પોતાની પેઢી દર પેઢીની કલાત્મક સૂઝબૂઝ અને વારસાને આજે પણ અક્ષુણ્ણ રાખ્યો છે, જે સમગ્ર વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે. આનો પાયો કે.બી. ચૌહાણ દ્વારા નાખવામાં આવ્યો હતો, જેઓ દાયકાઓ સુધી ગાયકવાડ રાજવી પરિવારની ઈચ્છા અને પરંપરા મુજબ ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરતા હતા. તેમના અવસાન બાદ, તેમના સુપુત્રોએ આ કળા અને વારસાને પદચિહ્નો પર ચાલીને આગળ ધપાવી છે. દર વર્ષે પ્રતિમાની ઊંચાઈ અને કદ એક સમાન આજે પણ ચૌહાણ પરિવારે રાજવી પરિવારનો એ જ જૂનો વિશ્વાસ અને સ્નેહ જાળવી રાખ્યો છે. આ કાર્ય માત્ર એક કળા કે વ્યાવસાયિક જવાબદારી નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિભાવનું એક ઉત્કૃષ્ટ પ્રતીક છે. ગાયકવાડ પરિવાર માટે તૈયાર કરવામાં આવતી શ્રીજીની પ્રતિમાનું કદ (ઊંચાઈ) અને વજન દર વર્ષે ચોક્કસાઈપૂર્વક એકસમાન રાખવામાં આવે છે. પ્રતિમાના કદ કે વજનમાં ક્યારેય પણ કોઈ ફેરફાર કરાતો નથી. જોકે, આ પાછળ કોઈ પરંપરાગત કે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે તે અંગે સ્પષ્ટતા નથી, પરંતુ આ કડક નિયમનું અક્ષરશઃ પાલન છેલ્લા સો વર્ષથી કરવામાં આવી રહ્યું છે. શાહી વાજીંત્રો સાથે સ્થાપના કરાશે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પ્રતિ વર્ષ શ્રીજીની આગવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે પણ શાહી ઠાઠ અને વાજીંત્રો સાથે પ્રતિમા સ્થાપિત કરી આસ્થાભેર ગણેશનું પૂજન અર્ચન કરાશે. વડોદરાના મહારાજા દ્વારા સ્થાપના વિધિ કરવામાં આવશે. ત્યાર બાદ અંતિમ દિવસે પેલેસ ખાતે જ આવેલા કુંડમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. શાહી વાજીંત્રો સાથે જ્યારે ગણેશજી બિરાજમાન થાય છે ત્યારે વાતાવરણમાં અલૌકિક આધ્યાત્મિકતા જોવા મળે છે.
Read full article on Divya Bhaskar