politics
રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન:દ્રૌપદી મુર્મુએ કહ્યું- 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ, રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. નાગરિકો રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહે. આ સંબોધન સાંજે 7 વાગ્યે આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. દૂરદર્શનની તમામ ચેનલો પર પહેલા હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં બતાવવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ પછી, દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરશે. આકાશવાણીના પ્રાદેશિક નેટવર્ક પર રાત્રે 9:30 વાગ્યે પ્રાદેશિક ભાષાઓમાં તેનું ટેલિકાસ્ટ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- આપણું બંધારણ જનભાગીદારી પર આધારિત છે રાષ્ટ્રપતિએ કહ્યું- આજનો દિવસ આપણે વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઉજવીએ છીએ. સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોને શરણાર્થી બનવું પડ્યું. તેમ છતાં તેમણે પોતાની ઓળખ છોડી નહીં. આપણું બંધારણ જનભાગીદારી પર આધારિત છે. તે ભાવનાને આપણા દેશવાસીઓ આગળ વધારી રહ્યા છે તે આપણી લોકશાહીની સિદ્ધિ છે. હવેથી થોડા જ કલાકો પછી, આપણા દેશની સ્વતંત્રતાના 80મા વર્ષનો શુભારંભ થશે. દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયો આ પર્વ ઉલ્લાસ સાથે ઉજવે છે. આપણો તિરંગો આપણી સ્વતંત્રતાનું પ્રતીક છે. તેને આપણે પૂરી શાનથી ફરકાવીએ છીએ. મુર્મુએ કહ્યું- દેશવાસીઓ સ્વતંત્ર ભારતના ભાગ્યના નિર્માતા બન્યા દ્રૌપદી મુર્મુએ કહ્યું- 15 ઑગસ્ટ 1947ના રોજ ભારતમાતા પરાધીનતાની બેડીઓમાંથી મુક્ત થયાં. તમામ દેશવાસીઓ સ્વતંત્ર ભારતના ભાગ્યના નિર્માતા બન્યા. નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિકાસ માટે તત્પર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો, આરોગ્ય સેવામાં કાર્યરત ડોકટરો અને આરોગ્યકર્મીઓ, મહેનતુ શ્રમિકો અને અન્નદાતા ખેડૂતો, પોતાના પ્રયાસોથી રાષ્ટ્ર નિર્માણ કરી રહ્યા છે. અન્ય ક્ષેત્રોમાં સક્રિય, અસંખ્ય દેશવાસીઓ, તથા બંધારણમાં સમાવિષ્ટ, મૂળભૂત ફરજોનું પાલન કરનારા તમામ નાગરિકો, રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું તે સૌની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. રાષ્ટ્રપતિએ કહ્યું- સિંધુ જળ સંધિને સ્થગિત કરવી રાષ્ટ્રીય હિતમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલા દરેક વ્યક્તિની આ ફરજ છે કે તે સુનિશ્ચિત કરે કે સંસાધનોની અછતને કારણે કોઈને પણ ન્યાયથી વંચિત ન રહેવું પડે. આતંકવાદને આશ્રય આપનાર દેશ સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરવી એ રાષ્ટ્રીય હિતમાં, ખાસ કરીને ખેડૂતો માટે, એક નિર્ણાયક પગલું છે. મુર્મુએ કહ્યું- છેલ્લા એક દાયકામાં દેશે ઝડપી ગતિએ વિકાસ કર્યો રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- આપણા સમૃદ્ધ વારસા અને સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શોને અપનાવીને આપણે આધુનિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ. ‘વયં રાષ્ટ્રે જાગૃયામ’, આ વેદ-વાક્ય આપણને પ્રેરણા આપે છે કે આપણે રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહીએ. છેલ્લા એક દાયકાથી થોડા વધુ સમયમાં આપણા દેશે ઝડપી ગતિએ સર્વસમાવેશક વિકાસ કર્યો છે. વારસો અને વિકાસના સમન્વયને પ્રાધાન્ય આપ્યું છે, તથા વિકાસમાં અવરોધરૂપ દાયકાઓ જૂના અનેક અવરોધોને દૂર કર્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં સફળતા મળી છે. વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશની યોજના પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ લગભગ 59 કરોડ ખાતાધારકો બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે. તેમાં 32 કરોડથી વધુ મહિલા ખાતાધારકોનો સમાવેશ થાય છે. 80 કરોડ લોકો માટે નિ:શુલ્ક રાશનની વ્યવસ્થા દ્વારા તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ 60 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની નિ:શુલ્ક તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટ હોમ રિસેપ્શનમાં 650 મહેમાનો, 100 VVIP આવશે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર એટ હોમ રિસેપ્શનનું આયોજન અમૃત ઉદ્યાન પરિસરમાં થશે. સાંજે 6 વાગ્યાથી યોજાનાર આ કાર્યક્રમમાં લગભગ 650 મહેમાનોને આમંત્રિત કર્યા છે. તેમાંથી 100 VVIP મહેમાનો હશે.
Read full article on Divya Bhaskar