top
સાબરકાંઠા જિલ્લામાં 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી:વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સાક્ષરતા અંગે જનજાગૃતિ ફેલાવતી પ્રવૃત્તિઓ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ ઈડર ખાતેના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે શિક્ષણનું મહત્વ લોકો સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમાજમાં સાક્ષરતા અંગે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયા હતા. આ હેતુથી જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયકલ રેલી, જનજાગૃતિ રેલી, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નાટક જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓ અને જનજાગૃતિ કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમણે 'શિક્ષણ અને સાક્ષરતા જીવનના વિકાસ માટે મહત્વપૂર્ણ સાધન છે' તેવો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો. રેલી અને સાયકલ રેલી દ્વારા સાક્ષરતા, શિક્ષણનું મહત્વ અને તેનાથી વ્યક્તિ તથા સમાજના સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઈડર ખાતેના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પણ વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી થઈ હતી. અહીં શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓ, તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લઈને સાક્ષરતાના સંદેશને વધુ વ્યાપક બનાવ્યો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સમાજના દરેક વર્ગ સુધી શિક્ષણ અને સાક્ષરતાનું મહત્વ પહોંચાડવાનો હતો. તેનો હેતુ 'સૌ માટે શિક્ષણ અને સૌ માટે સાક્ષરતા'ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પણ હતો.
Read full article on Divya Bhaskar