top
સાગબારાના આદિજાતિ ખેડૂતોની વન જમીન મુદ્દે MLA ચૈતર વસાવા મેદાનમાં:CMને કરી રજૂઆત, વન અધિકારના દાવા પેન્ડિંગ છતાં આદિવાસીઓની જમીન ખાલી કરાવવાનો આક્ષેપ
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકાના આદિજાતિ ખેડૂતોની વન ખેડાણવાળી જમીન બાબતે વન વિભાગ, સુરત દ્વારા થતી હેરાનગતિ અટકાવવા CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ કરાયેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે સાગબારા તાલુકાના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત આદિજાતિ પરિવારો વર્ષોથી નર્મદા-સુરત જિલ્લાની બોર્ડર પર ઉમરપાડા તાલુકામાં સમાવિષ્ટ વડપાડા રેન્જ ફોરેસ્ટની જંગલ જમીન પર ખેતી કરીને જીવનનિર્વાહ કરતા આવ્યા છે. 608 વ્યક્તિગત દાવા અરજીઓ કરાઈ હતી ચૈતર વસાવાના જણાવ્યા મુજબ વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ સ્થાનિક ડોગરીપાડા વન અધિકાર સમિતિ અને ગ્રામસભાની મંજૂરીથી તમામ ગામોના 608 જેટલા વ્યક્તિગત દાવા અરજીઓ કરી જિલ્લા સ્તરીય વન અધિકાર સમિતિ સમક્ષ વર્ષોથી રજૂ કરવામાં આવ્યા છે. તે પૈકી 10 જેટલા દાવા અરજીઓ મંજૂર કરી સરકાર દ્વારા સનદી અધિકારપત્રો આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય દાવાઓ DLC અને SLMC લેવલે પેન્ડિંગ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. વન વિભાગના હસ્તક્ષેપનો આક્ષેપ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ સને 2005 પહેલાં વન ખેડાણ કરતા દાવેદારોના માન્ય થયેલા વન દાવા હેઠળની જમીન તથા વન ખેડાણ હેઠળની અવિભાજિત વન ખેડાણની જમીન ખાલી કરાવવા માટે જંગલખાતું હસ્તક્ષેપ કરી રહ્યું છે. આ ઉપરાંત બળજબરીથી જમીન ખાલી કરાવવાની કાર્યવાહીથી આદિજાતિ ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 2020ના જમીન પચાવી પાડવા વિરોધી કાયદાનો ઉલ્લેખ ચૈતર વસાવાએ પોતાની રજૂઆતમાં ગુજરાત સરકારના ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અને તેના 2022ના સુધારાનો પણ ઉલ્લેખ કર્યો છે. રજૂઆત મુજબ આ કાયદામાં થયેલા સુધારા મુજબ જો વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ કરેલા દાવામાંથી દાવો મંજૂર થયો હોય અથવા દાવો અનિર્ણિત હોય ત્યાં સુધી વનવિભાગ દાવો કરનાર દાવેદારના ખેડાણ હેઠળની જમીન ખાલી કરાવવા હસ્તક્ષેપ કરી શકે નહીં. કલમ 4(5)નો હવાલો આપી કાર્યવાહી રોકવાની માંગ ધારાસભ્યે વન અધિકાર અધિનિયમ-2006ના ચેપ્ટર-3ની કલમ 4(5) ની જોગવાઈનો પણ હવાલો આપ્યો છે. તેમાં અન્યથા જોગવાઈ કરેલી હોય તે સિવાય, માન્ય કરવાની અને ખરાઈ કરવાની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી અનુસૂચિત આદિજાતિના કોઈપણ સભ્યને તેમના ભોગવટા હેઠળની વન્ય જમીનમાંથી ખાલી કરી શકાય નહીં અથવા તેમને તેમાંથી દૂર કરી શકાય નહીં, તેવી જોગવાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ચૈતર વસાવાએ આ તમામ કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈ સાગબારા તાલુકાના આદિજાતિ ખેડૂતોની વન ખેડાણવાળી જમીન ખાલી કરાવવા અથવા તેમાં હસ્તક્ષેપ કરવાની કાર્યવાહી તાત્કાલિક અટકાવવા તથા સમગ્ર મામલે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવા મુખ્યમંત્રીને અપીલ કરી છે.
Read full article on Divya Bhaskar