crime
સાવરકુંડલામાં રિવર્સ લેતી બસ નીચે વૃદ્ધા કચડાયાં:ST બસ સ્ટેશનમાં 80 વર્ષીય ગોદીબેન પર તોતિંગ ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે મોત, લાશ પીએમ માટે ખસેડાઈ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના એસટી બસ સ્ટેશનમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. અહીં બસના પાછળના ટાયરની અડફેટે આવી જતાં 80 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક વૃદ્ધાનું નામ ગોદીબેન શંભુભાઈ પરમાર હતું અને તેઓ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના વતની હતા. તેઓ અમરેલીથી પોતાના વતન આંબરડી ગામે પરત ફરી રહ્યા હતા. આ ઘટના સાવરકુંડલા એસટી બસસ્ટેન્ડમાં આવેલા વર્કશોપ ખાતે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બસમાં ડીઝલ ભર્યા બાદ હેડ મિકેનિક દ્વારા બસને રિવર્સ લેવામાં આવી રહી હતી. તે સમયે પાછળ ઉભેલા ગોદીબેન બસના પાછળના ટાયરની અડફેટે આવી ગયા હતા. બસ નીચે કચડાઈ જતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે આંબરડી ગામમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar