crime
સદનસીબે મોટી દુર્ઘટના ટળી:સાધુ વાસવાણી રોડ પર ખોદકામ દરમિયાન ગેસ લાઈન લીક થતા અફરાતફરી, GSPC ટીમે તરત દોડી જઇ લીકેજ બંધ કર્યું
રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર ખોદકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ગેસ લાઈનમાં લીકેજ થવાની ઘટના સામે આવી હતી. અહીં ખોદકામ કરતી વખતે અચાનક ગેસ લાઈન તૂટી જતાં ગેસનો ગંભીર લીકેજ શરૂ થયો હતો. અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તાર અને રાદારીઓમાં થોડીવાર માટે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસ રહેતા લોકો ગેસની ગંધ અને દુર્ઘટનાના ડરથી રસ્તા પર દોડી આવ્યા હતા. ઈમરજન્સી ટીમે તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરી જોકે ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતા જ ઈમરજન્સી ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે મુખ્ય પુરવઠો બંધ કરી રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે ભારે જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. અને આ વિસ્તારને ફરી સલામત બનાવ્યો હતો. GPSCની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે મોટું નુકસાન થયું નથી, જેથી સ્થાનિક લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ એસ.ટી. બસપોર્ટના વોલ્વો વેઇટિંગ રૂમમાં અસુવિધા મુદ્દે CM સ્વાગતમાં ફરિયાદ રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે 1 થી 1.5 કલાક વહેલો બંધ થઈ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે સામાજિક આગેવાન ચંદ્રેશ રાઠોડ દ્વારા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિર્ધારિત સમય સવારે 5 થી રાત્રિના 10 સુધીનો હોવા છતાં વેઇટિંગ રૂમ બંધ કરી દેવાતાં મુસાફરોને પ્લેટફોર્મ નંબર 1 પાસે પંખા વગર અથવા જમીન પર બેસવાની નોબત આવે છે. એસી બસનું ભાડું વસૂલવા છતાં મુસાફરોને લોકલ કરતાં પણ બદતર સુવિધા મળતી હોવાનો આક્ષેપ કરાયો છે. અગાઉ 15 જુલાઈએ વિભાગીય નિયામક એમ.પી. રાજનને પણ આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ડેપો રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લો રાખવા, સમયપત્રક લગાવવા, 24 કલાકનો ઇન્ક્વાયરી નંબર શરૂ કરવા અને છેલ્લા 6 માસના સીસીટીવી ફૂટેજ ચકાસી જવાબદારો સામે પગલાં ભરવા માગ કરાઈ હતી. તંત્ર દ્વારા કોઈ ઉત્તર કે કાર્યવાહી નહીં થતાં આખરે ઓગસ્ટ માસના CM સ્વાગત કાર્યક્રમમાં આ રજૂઆત કરવામાં આવી છે. ડાક વિભાગ દ્વારા રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન ભારત સરકારના ડાક વિભાગ દ્વારા દેશભરમાં 'ઢાઈ અખર-2026-27' રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ પોસ્ટ ઓફીસ દ્વારા પણ નવી પેઢીમાં હસ્તલિખિત પત્રલેખન પરંપરાને પુનર્જીવિત કરવા, સર્જનાત્મકતા પ્રોત્સાહિત કરવા અને ફિલાટેલી (ટપાલ ટિકીટ સંગ્રહ) પ્રત્યે રસ વધારવાના મુખ્ય હેતુથી આ અભિયાન શરૂ કરાયું છે. વર્ષ 2026 માટે સ્પર્ધાનો વિષય 'માતૃ પૃથ્વીને પત્રઃ પ્રકૃતિના સંરક્ષણ માટે મારું વચન' રાખવામાં આવ્યો છે. 1 ઓગષ્ટથી 31 ઓક્ટોબર- 2026 સુધી યોજાનારી સ્પર્ધામાં ભારતનો કોઈપણ નાગરિક ભાગ લઈ શકે છે. સ્પર્ધા 18 વર્ષ સુધી અને 18 વર્ષથી વધુ ઉંમરના સ્પર્ધકો માટે ઈનલેન્ડ લેટર કાર્ડ તથા કવર શ્રેણી (A-4 સાઈઝ પેપર) એમ અલગ-અલગ વિભાગમાં યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે પત્ર અંગ્રેજી, હિન્દી કે સ્થાનિક ભાષામાં હસ્તલિખિત હોવો આવશ્યક છે. ઈનલેન્ડ લેટર કાર્ડ શ્રેણીમાં 500 શબ્દો અને કવર શ્રેણીમાં 1000 શબ્દોની મર્યાદા રહેશે. પ્રથમ તબક્કે સર્કલ સ્તરે અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે વિજેતાઓની પસંદગી થશે. રાષ્ટ્રીય સ્તરે દરેક શ્રેણીમાં પ્રથમ ઈનામ રૂ. 50,000, દ્વિતીય ઈનામ રૂ. 25,000 અને તૃતીય ઈનામ રૂ. 10,000 આપવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો. રાજકોટ રેલવે સ્ટેશને RPFના ડોગ સ્કવોડથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે (જં) સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તેમજ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી RPFને 2 ડોગની ફાળવણી કરવામાં આવી છે. આ બંને ડોગની મદદથી સ્ટેશન પરિસરમાં શંકાસ્પદ સરસામાનની ચકાસણી કરવી તેમજ ચોરીના બનાવોના ભેદ ઉકેલવામાં RPFને મોટી સફળતા અને સરળતા મળી રહી છે. અવારનવાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને ટ્રેનોમાં મુસાફરોની કિંમતી ચીજવસ્તુઓની ચોરીના બનાવો બનતા હોય છે, ત્યારે RPF ટ્રેકર ડોગની મદદથી તસ્કરી કરનારા શખ્સો સુધી ઝડપથી પહોંચી શકે છે. આ ઉપરાંત, સ્નિફર ડોગ ટ્રેનો અને પ્લેટફોર્મ પર શંકાસ્પદ સામાન સાથે વિસ્ફોટક સામગ્રી, નશીલા પદાર્થો અને સંભવિત જોખમોને ટાળવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે. જેના પરિણામે રેલવે સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ અને ટ્રેનોમાં મુસાફરોને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને નિર્ભય મુસાફરીનો અનુભવ મળી રહ્યો છે. રાજકોટ ડિવિઝનના મુસાફરોની સુરક્ષા માટે RPF સતત સતર્ક અને કટિબદ્ધ છે. રાજકોટના વોર્ડ નં. 7 માં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા 10062 ઘરોની તપાસ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ અર્થે શરૂ કરવામાં આવેલ વન-ડે-વન-વોર્ડ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. 7 માં વાહક નિયંત્રણની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ, ફિલ્ડવર્કર, MPHW અને અર્બન ASHA કાર્યકરો દ્વારા ઘરે-ઘરે જઈને પાણીના પાત્રો, ટાંકીઓ અને છોડના કુંડા તપાસવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 10062 ઘરોની મુલાકાત લઈ 45326 પાત્રો ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 457 ઘરોમાંથી મચ્છરના પોરા મળી આવતા તેનો નાશ કરાયો હતો. આ ઉપરાંત 1185 બિનરહેણાંક એકમોની તપાસ કરી મચ્છર ઉત્પત્તિ સબબ 181 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ફિવર સર્વે દરમિયાન 47 વ્યક્તિઓના લોહીના નમૂના લેવાયા હતા. આ તકે સ્થાનિક કોર્પોરેટર દર્શનભાઈ હરેશભાઈ પેંગ્યાતર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને મચ્છર અટકાયતી કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી.
Read full article on Divya Bhaskar