education
શામળાજીમાં મંત્રી પી.સી. બરંડાએ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું:નવનિર્મિત તાલુકાના શિક્ષણ વિકાસને વેગ મળશે
અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પુસ્તકાલય નવા તાલુકાના શિક્ષણ વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રસંગે મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી તાલુકો તાજેતરમાં જ અલગ તાલુકા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે અને રાજ્ય સરકાર તેના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે પુસ્તકાલયને માત્ર પુસ્તકોનો સંગ્રહ નહીં, પરંતુ જ્ઞાનનું કેન્દ્ર ગણાવ્યું. મંત્રીએ ઉમેર્યું કે, આ પુસ્તકાલયમાં યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શાંત વાતાવરણ, આધુનિક પુસ્તકો, સામયિકો, અખબારો અને ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ખાસ લાભ મળે તે માટે આ પુસ્તકાલય મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં શિક્ષણ અને જ્ઞાનના પ્રસાર માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. મંત્રીએ વિદ્યાર્થીઓને વધુમાં વધુ વાંચન કરવા અને જ્ઞાન મેળવવા પ્રેરણા આપી. પુસ્તકાલયમાં વિવિધ વિષયોના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની માર્ગદર્શિકાઓ, બાળસાહિત્ય, સામાન્ય જ્ઞાન તથા સ્થાનિક ઇતિહાસ અને સંસ્કૃતિ સંબંધિત સામગ્રી ઉપલબ્ધ છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન સંસાધનોનો લાભ લઈ શકે. નિયમકશ્રીએ જણાવ્યું કે આ પુસ્તકાલય તાલુકાના તમામ વર્ગના નાગરિકો માટે ખુલ્લું રહેશે અને નિયમિત રીતે નવા પુસ્તકો ઉમેરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડૉ. પંકજ કે. ગોસ્વામી (નિયામક ગ્રંથાલય, ગુજરાત રાજ્ય), શ્રી સુભાષ જે. પટેલ (ગ્રંથપાલ, સરકારી જિલ્લા પુસ્તકાલય, મોડાસા), શ્રી એમ.ટી. નીસરતા (મદદનીશ ગ્રંથાલય નિયામક, અમદાવાદ વિભાગ) સહિત જિલ્લા સદસ્યો, તાલુકા પંચાયતના અધ્યક્ષ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ રિબન કાપીને પુસ્તકાલયનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
Read full article on Divya Bhaskar