politics
શેત્રુંજી નદીમાં રેતીચોરી સામે મહિલાઓનો વિરોધ:ચાંપાથળના ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગમાં રામધૂન બોલાવી, રાજકોટના અધિકારી ચાર્જમાં, કાયમી અધિકારીની માગ
અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીના પટમાં થઈ રહેલી બેફામ રેતી ચોરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ રાજકોટના અધિકારી પાસે અમરેલી જિલ્લાનો વધારાનો ચાર્જ હોવાથી કાયમી અધિકારી હાજર રહેતા નથી. જેને કારણે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે અને જિલ્લામાં કાયમી ધોરણે નવા અધિકારીની નિમણૂક કરવાની પ્રબળ માંગ ઉઠી છે. કાયમી અધિકારીના અભાવે ફિલ્ડ સ્ટાફ પર જોખમ રાજકોટના અધિકારી અમરેલી ખાતે નિયમિત હાજર ન રહેતા હોવાથી મોટાભાગના સમય માટે માત્ર રોયલ્ટી ઇન્સ્પેકટર અને સુપરવાઈઝર જેવી જૂજ ટીમોએ જ ફિલ્ડમાં કામ કરવું પડે છે. આ અગાઉ આ ટીમો પર બે વખત હુમલાની ઘટનાઓ બની ચૂકી છે અને પોલીસ ચોપડે ફરિયાદો પણ નોંધાયેલી છે. વરિષ્ઠ અધિકારીના અભાવે રોજિંદી કામગીરીમાં ભારે મુશ્કેલીઓ સર્જાતી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ચાર્જ સંભાળતા અધિકારી પણ સામાન્ય રીતે માત્ર 8થી 10 દિવસમાં એકવાર ફાઇલ ચેક કરવા અને સહી કરવા માટે જ વિઝિટ પર આવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગમાં મહિલાઓ દ્વારા પ્રદર્શન તાલુકાના ચાંપાથળ નજીક શેત્રુંજી નદીના પટમાં ભૂમાફિયાઓ સક્રિય થઈ ગયા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ કલેક્ટર કચેરી અને ખાણ ખનીજ વિભાગમાં પહોંચ્યા હતા. કાયમી અધિકારીની માંગ સાથે મહિલાઓએ ખાણ ખનીજ વિભાગની કચેરીમાં રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોનો આક્ષેપ ચાંપાથળ ગામના બટુક ખૂંટે જણાવ્યું હતું કે, શેત્રુંજી નદી અમારી જીવાદોરી સમાન છે. નદીમાં મોટા ડમ્પર, જેસીબી અને હિટાચી મશીનો ઉતારીને ખુલ્લેઆમ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. રેતીની સાથે હવે નદી કાંઠાની કિંમતી જમીનો પણ ધોવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને ગામ છોડીને હિજરત કરવાનો સમય આવી શકે છે. ગામના ગૌચરમાં રેતીનો સંગ્રહ કરવામાં આવે છે અને ધોળે દિવસે ડમ્પરો દોડતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. તેમણે ચેતવણી આપી હતી કે, જો આગામી 7 દિવસમાં ગેરકાયદે રેતી ચોરી સંપૂર્ણપણે બંધ નહીં થાય તો મામલતદાર કચેરી સમક્ષ ઉપવાસ પર બેસીને જન આંદોલન કરવામાં આવશે, જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. ખાણ ખનીજ વિભાગની સ્પષ્ટતા સમગ્ર મામલે અમરેલી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કે.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે ચાંપાથળ ગામના ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અમારી ટીમ દ્વારા અવારનવાર ખાનગી અને સરકારી વાહનો મારફતે શેત્રુંજી નદીના પટમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ગેરરીતિ ઝડપાતા વાહનો ડિટેઈન કરી દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ ન ભરનાર સામે ફોજદારી ગુના નોંધવામાં આવે છે. ગ્રામજનોની આ ફરિયાદ અન્વયે ગેરકાયદે રેતી ચોરી કરતા વાહનો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar