politics
શ્રાવણ માસમાં શિવભક્તોને ટોલ ટેક્સમાંથી મુક્તિની માગ:પાલનપુરના ખેમાણા ટોલનાકા પર ટોલમુક્તિની કલેક્ટરને રજૂઆત કરાઈ
પાલનપુર નજીક આવેલા બાલારામ અને ઇકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે જતા શિવભક્તોને શ્રાવણ માસ દરમિયાન ખેમાણા ટોલનાકા પર ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પાલનપુરના જાગૃત નાગરિક જસવંતસિંહ વાઘેલા દ્વારા આ માંગ કરવામાં આવી છે. આગામી ગુરુવાર, 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવવા મંદિરોની મુલાકાત લે છે. પાલનપુરથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલા સ્વયંભૂ બાલારામ મહાદેવ મંદિર અને ઇકબાલગઢ નજીક બનાસ નદીના કિનારે બિરાજમાન વિશ્વેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ ભક્તોની ભારે ભીડ રહે છે. ખાસ કરીને દર સોમવારે અહીં લોકમેળા ભરાય છે. આ શિવાલયોમાં જતા ભક્તોને આબુરોડ હાઈવે પર આવેલા ખેમાણા ટોલનાકા પર ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે એક મહિના સુધી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર, આર એન્ડ બી વિભાગ અને હાઈવે ઓથોરિટીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ જસવંતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે. પાલનપુરથી બાલારામ જતા માર્ગ પર ખેમાણા ટોલનાકું આવે છે, જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું કે, આ પવિત્ર માસમાં ભક્તોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તો તેમની આસ્થામાં વધારો થશે.
Read full article on Divya Bhaskar