crime
સિક્યુરિટી ગાર્ડ્સની હાજરી વચ્ચે મોટો કાંડ:ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સરકારી સ્ટોરમાંથી 6.28 લાખના કોપર કેબલ ચોરાઈ ગયા, એક વર્ષે મામલો બહાર આવ્યો
ગાંધીનગરના ખ-3 સર્કલ નજીક આવેલા અને ચોવીસેય કલાક સિક્યુરિટી ગાર્ડના કડક પહેરા હેઠળ રહેતા વાવોલ ખાતેના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સરકારી સ્ટોરને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ રૂ. 6.28 લાખથી વધુની કિંમતના કુલ 2281 મીટર પીવીસી કોપર કેબલ ચોરીને અંજામ આપી સરકારી સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે. આ અંગે સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડતી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી (જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ) દ્વારા ખરીદવામાં આવતો કિંમતી માલસામાન અને બોર બનાવવા માટે વપરાતા કેબલ વાયર વાવોલ ખાતે આવેલા ખુલ્લા સ્ટોરમાં રાખવામાં આવે છે. આ જગ્યાની ચારેય તરફ પાકી કમ્પાઉન્ડ વોલ બાંધેલી છે અને રાત-દિવસ સુરક્ષા કરવા માટે સ્પેશિયલ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રાખવામાં આવે છે. બોરના કેબલનો જથ્થો ઓછો જણાતો હતો આ મામલે કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર વિપુલભાઈ બબાભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સપ્ટેમ્બર 2025 દરમિયાન જ્યારે સ્ટોરમાં નવો સામાન મૂકવા માટે અધિકારીઓની ટીમ ગઈ ત્યારે આ ચોરીનો મામલો સામે આવ્યો હતો. તત્કાલીન સ્ટોર ઇન્ચાર્જ પુજાબેન મોદી અને અધિકારીઓની હાજરીમાં મજૂરો દ્વારા નવો સામાન સ્ટોરમાં રખાવાઈ રહ્યો હતો, ત્યારે સ્ટોર કચેરીની બાજુમાં ખુલ્લામાં પડેલા બોરના કેબલનો જથ્થો અસાધારણ રીતે ઓછો જણાતો હતો. જેના પગલે શંકા જતાં સ્ટોકના લેજર રજિસ્ટર સાથે સરખામણી કરવામાં આવી તો વર્ષ 2014થી લઈને 2022 સુધીના સમયગાળા દરમિયાન ખરીદવામાં આવેલા 16 એમએમ ડાયામીટરના 1235 મીટર અને 10 એમએમ ડાયામીટરના 1046 મીટર મળીને કુલ 2281 મીટર કોપર કેબલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ ચોરી અંગે તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.આ ચોરીની ઘટના ઘટતા આખા સ્ટોર પરિસરમાં અને આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કેબલ વાયરો ચોરાઈ જતા સેક્ટર 7 પોલીસે મથકે ગુનો દાખલ તે સિવાય કચેરીના ઉપરી અધિકારીઓની સૂચનાથી અન્ય કોઈ સામાન કે કેબલ વાયરની ચોરી થઈ છે કે કેમ તેની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. તમામ ચોરાયેલા વાયરના જૂના બિલ મેળવવા અને સ્ટોકની ચોક્કસ આંકડાકીય ગણતરીમાં સમય લાગ્યો હોવાથી કાયદેસરની ફરિયાદમાં વિલંબ થયો હતો. આ કેસમાં સૌથી શંકાસ્પદ બાબત એ છે કે વાવોલ સ્ટોર ખાતે રાત-દિવસ સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત હોય છે. ઘટનાના આગલા દિવસે જ સ્વરાજસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ રાઠોડ જેવા ગાર્ડ્સ ફરજ પર હતા. જ્યારે ઘટનાના દિવસે ભરતભાઈ પટેલ હાજર હતા. તોય કેબલ વાયરો ચોરાઈ જતા સેક્ટર 7 પોલીસે મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar