politics
તમારે સુપ્રીમમાં જવું હોય તો જાવ: હાઇકોર્ટ:'પીડિતો માટેના મકાનની કિંમત અધિકારીઓ પાસેથી વસૂલો, SMC કમિશનર અને DCP નકુમ હજુ હોદ્દા પર કેમ છે?', નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી
સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે આજે(10 ઓગસ્ટ) ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. હાઇકોર્ટે ઉચ્ચ અધિકારીઓ હજુ પણ હોદ્દા પર હોવા મામલે સવાલ ઉઠાવ્યો હતો. સરકારી વકીલે જણાવ્યું હતું કે સિનિયર અધિકારીઓની તપાસ કમિટી SMC ઍડમિનિસ્ટ્રેશન, પ્રાઇવેટ પાર્ટી અને પોલીસની ભૂમિકા તપાસશે. ભૂલ કરનાર ઓફિસરો સામે તપાસ કમિટી 18 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપી પગલા લેવા સૂચન કરશે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે ડિમોલિશનના અસરગ્રસ્તો પુનઃવસન મુદ્દે સહકાર આપી રહ્યા નથી. તેઓ એક કોમ્યુનિટી હોલમાં અત્યારે રહે છે. SMC અધિકારીઓ ત્યાં ગયા તો તેમની સાથે બોલાચાલી કરી. અમુક લોકો નેતાગીરી પણ કરી રહ્યા છે. અસરગ્રસ્તોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવા કહેવાયું છે. અરજી સાથે 20 હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ ભરવાનો હોય છે. આ મકાનની કિંમત 5.50 લાખ રૂપિયા છે, જે હપ્તે મળશે. આ EWS કેટેગરીના મકાનો માટે NGO રૂપિયા ભરવા તૈયાર છે. હાઈકોર્ટે કહ્યું કે કાયદા વિરુદ્ધ કાર્ય કરનારા અધિકારીઓ પાસે રૂપિયા ભરાવો, અસરગ્રસ્તો ઉપર ભાર શું કરવા નાખો છો? આ દરમિયાન એડવોકેટ જનરલે આ ડિમોલિશન યોગ્ય થયું હોવાની રજૂઆત કરી હતી. જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે જો રાજ્ય એમ કહેતું હોય કે ડિમોલિશન બરોબર થયું તો બધા ઓફિસર ઘરે જશે! તમારે સુપ્રીમમાં જવું હોય તો જાવ! તમે છટકબારી આપો છો, પહેલા કહ્યું કે SMC ડીમાર્કેશન માટે ગયું હતું. પીડિતોને ઘર આપવાની તમારી જવાબદારી છે, આટલી બધી શરતો મૂકો તો કોણ નવા ઘરે જાય?, NGOનું અહીં શું કામ? રાજ્યે ભૂલ કરી તો રાજ્ય જ વ્યવસ્થા કરે. ‘અધિકારીઓને ખબર પડવી જોઈએ કે ખોટું કાર્ય કરતા ભોગવવું પડશે’ જો રાજ્ય ખર્ચ ન ભોગવે તો SMC ભોગવે, નહીંતર અસરગ્રસ્તો સાથે ન્યાય થયો કહેવાય નહીં. SMC ખર્ચ કરે અને અધિકારીઓ પાસેથી વસૂલે. આવું કરનારા અધિકારીઓને ખબર પડવી જોઈએ કે ખોટું કાર્ય કરતા ભોગવવું પડશે. જો અસરગ્રસ્તો દબાણકર્તા હોય તો પણ કાયદા વિરુદ્ધ ન જઈ શકાય. કોર્ટને ખબર છે કે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે ! અસરગ્રસ્તો ઘર માટે અરજી કરવાના 100 રૂપિયા પણ કેમ આપે? તમે તેમના ઘર તોડ્યા છે! આ તો સુપ્રીમ કોર્ટે નક્કી કરેલ પ્રોસિઝરનું ઉલ્લંઘન છે. ‘નકુમ સહિતના ઉચ્ચ અધિકારીઓ હોદ્દા પર કેમ છે?’ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જે ઓફિસરો સામે તપાસ ચાલી રહી છે તે હોદ્દા ઉપર કેમ છે? જો જુનિયરને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા તો સિનિયરને કેમ બચાવવામાં આવી રહ્યા છે? કોર્ટે આ મુદ્દે સરકારનો જવાબ માંગ્યો છે. કોર્ટે વિસ્તૃત હુકમ કરતા નોંધ્યું છે કે જો તપાસ ચાલુ હોય તો SMC અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ(ડીસીપી નકુમ) હોદ્દા ઉપર કેમ છે ? તપાસ થાય ત્યાં સુધી હોદ્દા ઉપર રાખવા જોઈએ નહીં. કોર્ટ તેમને સસ્પેન્ડ કરવા સૂચન નથી કરતી પણ ન્યાય થવો જોઈએ. કમિટી તપાસ કરે ત્યારે અધિકારીઓ હોદ્દા ઉપર ન રહેવા જોઈએ. ‘ડીસીપી નકુમની હાજરી પ્રિ-પ્લાન્ડ ડિમોલિશન દર્શાવે છે’ ઉચ્ચ અધિકારીઓ ઉપર તેમના જુનિયરોએ આક્ષેપ પણ કર્યા છે! તેમને હોદ્દા ઉપર રાખી તપાસ કરવી યોગ્ય નથી, વળી ઓથોરિટી અસરગ્રસ્તોના પુનઃવસન ઉપર ધ્યાન આપે. NGOને પૈસા ભરવાની મંજૂરી આપી રાજ્ય અને SMC જવાબદારીમાંથી છટકી શકે નહીં. ઓથોરિટી બે મહિના પછી પાછળથી વિચારનું સર્જન કરે છે કે ડિમોલિશન બરોબર કર્યું! પહેલા સ્વીકાર્યું કે ડિમોલિશન યોગ્ય નથી, ડિમોલિશનનું આયોજન પહેલાથી કરવાનું વિચાર્યું હતું. ઓફિસરો ભારે મશીનરી લઈને ત્યાં ગયા જે દર્શાવે છે કે તેઓ ડિમોલિશન માટે જ ગયા હતા! ત્યાં SOG DCP(રાજદીપસિંહ નકુમ)ની હાજરી પણ આ આયોજન પૂર્વકના ડિમોલિશનને દર્શાવે છે. SMC ડિમોલિશનના સ્થળે અસરગ્રસ્તોને ફરી ઘર બનાવી આપે અથવા નવા ઘર આપે. પુનઃવસનના નામે પૈસા લઈ શકાય નહીં. કઈ સત્તાથી કોર્પોરેશન પૈસા માંગી રહ્યું છે ? શા માટે કોર્પોરેશન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોદ્દા ઉપર છે ? સરકાર તેનો જવાબ આપે. નોટિસ આપ્યા વગર કોઈનું પણ ઘર તોડી શકાય નહીં, આપણો દેશ સામન્તશાહિમ મુજબ નહીં, લોકશાહી અને બંધારણ મુજબ ચાલતો દેશ છે. પહેલા ગેરકાનૂની કહ્યા પછી, ડિમોલિશને કાનૂની કહી શકાય નહીં. કોર્ટે મૌખિક રીતે સરકારી વકીલને ચેલેન્જ આપી હતી કે એક કેસ એવો બતાવો કે જેની પર આક્ષેપ હોય તે હોદ્દા ઉપર હોય, તો કોર્ટ આ હુકમ પાછો ખેંચી લેશે. આ મુદ્દે વધુ સુનવણી 14 ઓગસ્ટે યોજાશે.
Read full article on Divya Bhaskar