politics
સુરતના ચોકબજારમાં લારી-ગલ્લા હટાવવા સામે વિરોધ:SMCની ડિમોલિશન કામગીરી સામે NASVI સંગઠને ઉઠાવ્યા સવાલો, વાતચીત વગર કાર્યવાહી થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી
સુરત શહેરના ઐતિહાસિક ચોકબજાર કિલ્લાના મેદાન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓ સામે હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. લારી-ગલ્લા સંગઠને તંત્રની આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને હોકિંગ ઝોન અને જમીનની માલિકી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સર્વે હાથ ન ધરાય ત્યાં સુધી લારી-ગલ્લા હટાવી શકાય નહીં નેશનલ એસોસિયેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઈન્ડિયા (NASVI)ના એક્ઝિક્યુટિવ સભ્ય શબ્બીર મેમણે આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014ના નિયમોનું ઉલ્લંઘન કરીને નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ન થાય અને સંપૂર્ણ સર્વે હાથ ન ધરાય, ત્યાં સુધી કોઈ પણ લારી-ગલ્લા ધારકને હટાવી શકાય નહીં. કાયદાકીય જોગવાઈ મુજબ યોગ્ય હોકિંગ ઝોનમાં વૈકલ્પિક વ્યવસ્થા ફાળવ્યા બાદ જ કોઈ પગલાં લઈ શકાય. હક અને રોજીરોટી માટે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે આ મુદ્દે સંગઠને યોગ્ય દસ્તાવેજો અને પુરાવાઓ સાથે સુરતના મેયર, મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી વિધિવત રજૂઆત કરી છે. સંગઠને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વાતચીત કે યોગ્ય પ્રક્રિયા વગર એકતરફી ડિમોલિશન કરવામાં આવશે, તો લારી-ગલ્લા ધારકો પોતાના હક અને રોજીરોટી માટે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
Read full article on Divya Bhaskar