politics
સ્મિત દેસાઈ સહિત 2ની ત્રીજા દિવસે ભૂખ હડતાળ:વશિયર નદીના નિર્માણાધીન બ્રિજનું આંદોલન રાજ્યવ્યાપી બનાવશે, યુથ કોંગ્રેસ વલસાડ કલેક્ટર કચેરીને 17મીએ ઘેરશે
વલસાડ તાલુકાના વશિયર અને નાનકવાડાને જોડતા નવનિર્મિત બ્રિજ અંગેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ડૉ. પ્રવિણસિંહ વણોલે પત્રકાર પરિષદ યોજી સ્થાનિક તંત્ર, ભાજપ નેતાઓ અને જિલ્લા કલેક્ટર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ બ્રિજ મુદ્દે આંદોલનની રાજ્યવ્યાપી બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં 17મીએ રાજ્યભરના કાર્યકરો વલસાડ કચેરીએ ઉમટી પડશે અને આંદોલનને ઉગ્ર બનાવી આવેદન આપશે. પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, વશિયર-નાનકવાડા બ્રિજના બાંધકામ અને તેની ઉપયોગિતા અંગે કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆતો અને RTI કરવા છતાં યોગ્ય ઉત્તર મળ્યો નહોતો. આથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્મિત દેસાઈ અને રાહિલ શેખ દ્વારા 11 તારીખે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ 13 તારીખથી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે. પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે, જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યાં જનતાની કોઈ હાજરી જોવા મળતી નથી. તેમણે ઉમેર્યું કે, એક તરફ નેશનલ હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારો (ધરમપુર અને કપ્રાડા)માં લોકો રોડ-રસ્તાના અભાવે અંતિમ ક્રિયા માટે પણ કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. વણોલે તંત્ર પર માત્ર નેતાઓ અને તેમના મળતિયાઓના ફાયદા માટે કરોડોનું આંધણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર આ સમગ્ર મામલે પત્રકાર પરિષદ બોલાવી જનતા સામે ખુલાસો કરે. યુથ કોંગ્રેસે આગામી રણનીતિ પણ જાહેર કરી છે. સોમવાર, 17 તારીખે તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે. જો યોગ્ય જવાબ નહીં મળે તો કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાંથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વલસાડમાં ઉમટી પડશે. આ રચનાત્મક વિરોધ કાર્યક્રમો યોજાશે અને જરૂર પડ્યે કોર્ટના દરવાજા પણ ખટખટાવવામાં આવશે.
Read full article on Divya Bhaskar