top
'સમસ્યાઓનું માત્ર નિરીક્ષણ નહીં, ગ્રાઉન્ડ પર પરિણામ દેખાવું જોઈએ':રાજ્યકક્ષાની બેઠકમાં અધિકારીઓને કડક તાકીદ, અંધશ્રદ્ધા છોડી સગર્ભા અને બાળકોને સરકારી દવાખાને પહોંચાડવા આરોગ્યમંત્રીની અપીલ
ગુજરાતમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા, કુપોષણ નાબૂદ કરવા તેમજ રાજ્યને સંપૂર્ણપણે ક્ષયમુક્ત બનાવવાના સંકલ્પ સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ સાથે તમામ પાયાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર બિંદુવાર ચર્ચા હાથ ધરાઈ હતી. આરોગ્ય મંત્રીએ અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરતાં કડક સૂરમાં તાકીદ કરી હતી કે, સમસ્યાઓનું માત્ર કાગળ પર નિરીક્ષણ કરવાને બદલે જમીની સ્તરે તેનું નક્કર અમલીકરણ દેખાવું જોઈએ, જેથી સરકારી યોજનાઓ અને સારવારનો સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે. રાજ્યને ક્ષયમુક્ત બનાવવા સઘન ટ્રેકિંગ અને ફોલોઅપ પર ભાર રાજ્યભરમાં ટીબી સામે ચાલી રહેલી લડાઈને વધુ આક્રમક અને પરિણામલક્ષી બનાવવા માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓની વહેલી તકે ઓળખ થાય, તેમને ગુણવત્તાયુક્ત દવાઓ નિઃશુલ્ક મળે અને સંપૂર્ણ કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી તેનું નિયમિત ફોલોઅપ જળવાઈ રહે તે માટે આરોગ્ય તંત્રને કડક આદેશો આપવામાં આવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ક્ષયમુક્ત ગુજરાતનું લક્ષ્ય હાંસલ કરવા માટે માત્ર સત્તાવાર આંકડાઓ એકત્ર કરવા પૂરતું સીમિત ન રહેતાં અસરગ્રસ્ત પરિવારો સુધી સીધી તબીબી સહાય પહોંચવી અનિવાર્ય છે. કુપોષિત બાળકોની સુખાકારી માટે સગર્ભા માતાઓની સંભાળ જરૂરી બાળકોમાં જોવા મળતા કુપોષણના મૂળ કારણોની ચર્ચા કરતાં બેઠકમાં ભારપૂર્વક જણાવાયું હતું કે સ્વસ્થ બાળકના જન્મ અને વિકાસ માટે માતાનું સુદ્રઢ સ્વાસ્થ્ય પ્રથમ શરત છે. સગર્ભા મહિલાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી સમયસર જરૂરી પોષક આહાર, લોહતત્વની ગોળીઓ અને તમામ નિદાન સેવાઓ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ સગર્ભા મહિલા નિયમિત આરોગ્ય તપાસણીથી વંચિત ન રહે તે માટે સ્થાનિક આશા વર્કરો અને તબીબોને જવાબદાર બનાવવામાં આવ્યા છે. શ્રમજીવી મહિલાઓ અને બાળકોના રસીકરણનું સતત મોનિટરિંગ ઔદ્યોગિક અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમજીવી પરિવારોની મહિલાઓ સુધી સરકારી સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ વધારવા ખાસ સૂચના આપવામાં આવી હતી. સ્થળાંતર કરતા પરિવારોના બાળકો અને સગર્ભા મહિલાઓનું નિયત સમયપત્રક મુજબ સંપૂર્ણ રસીકરણ થાય તે માટે વિશેષ ડ્રાઇવ ચલાવવા જણાવાયું છે. આ સાથે જ સરકારી દવાખાનાઓમાં દવાઓની નિયમિત ઉપલબ્ધતા, ગુણવત્તા તેમજ સાધનોની કાર્યક્ષમતા અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત સરપ્રાઈઝ ચેકિંગ કરવા તાકીદ કરાઈ હતી. આરોગ્ય જાગૃતિ માટે સ્થાનિક પ્રભાવકો અને ભૂવા-ભગતોની મદદ લેવાશે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક સારવાર પ્રત્યે વિશ્વાસ વધારવા માટે એક નવતર અભિગમ અપનાવવાની હિમાયત કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક સામાજિક પ્રભાવ ધરાવતા ભૂવા-ભગતોને પણ આરોગ્ય અભિયાનમાં સહભાગી બનાવી જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી છે. જો કોઈ ગામમાં કુપોષિત બાળક કે બીમાર સગર્ભા મહિલા જોવા મળે તો તેમને વહેમમાં રાખવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી દવાખાને મોકલી કાયદેસરની તબીબી સારવાર અપાવવામાં મદદરૂપ બનવા સ્થાનિક આગેવાનોને અનુરોધ કરાયો છે.
Read full article on Divya Bhaskar