lifestyle
Somnath મહાદેવને પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય અન્નકૂટ શૃંગાર
પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણ કૃષ્ણ અમાવસ્યાના પવિત્ર અવસરે દિવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી અમાવસ્યાના વિશેષ પર્વે સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારની મિષ્ટાન અને વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ શૃંગારના દિવ્ય વૈભવથી સોમનાથ મહાદેવનું ગર્ભહૃહ ઝળહળી ઉઠ્યું હતું અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું ધામ પવિત્ર શ્રાવણ માસના આ માસવ્યાપી શિવોત્સવનું અન્નકૂટ મહાભોગ સાથે અત્યંત ભાવભીનું સમાપન થયું હતું. અન્નકૂટ દર્શન માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શિવભક્તો દિવ્ય શૃંગારના દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ મહાદેવના ચરણોમાં સીસ નમાવીને અદ્ભુત આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી હતી. સુખ-દુઃખને પ્રસાદ ગણી સ્વીકારવાનો આપ્યો સંદેશ મહાદેવના ચરણોમાં ધરાવવામાં આવેલા આ મહા અન્નકૂટ શૃંગારમાંથી શિવભક્તોને જીવનનો એક ઊંડો આધ્યાત્મિક સંદેશ પણ પ્રાપ્ત થયો હતો. જીવનમાં આવતા સુખ અને દુઃખ બંનેને સોમનાથ મહાદેવનો દિવ્ય પ્રસાદ માનીને સહજતાથી સ્વીકારવાની પ્રેરણા આ પવિત્ર અવસરે ભક્તોએ મેળવી હતી. શ્રાવણના આખરી દિવસે સોમનાથ મંદિર ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનો અલૌકિક ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh