politics
'સોનિયા ગાંધીએ ઈટાલી પરત જતું રહેવું જોઈએ':સુરતમાં BJPના Gen Zનો આક્રોશ, 15મી ઓગસ્ટે 'વંદે માતરમ્'ના અપમાનનો વિરોધ
15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના કથિત અપમાનના મુદ્દે રાજકીય ગરમાવો વધી ગયો છે. સુરત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આ ઘટનાના વિરોધમાં રસ્તા પર ઉતરીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. મક્કાઈ પુલ ખાતે ભાજપના Gen-Z અને યુવા કાર્યકરોએ હાથમાં વિરોધ પ્રદર્શિત કરતા પોસ્ટરો અને બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ, 'સોનિયા ગાંધી મુર્દાબાદ'ના લાગ્યા નારા ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ "સોનિયા ગાંધી હાય હાય" અને "સોનિયા ગાંધી મુર્દાબાદ"ના બેનરો દર્શાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ હાઈકમાન્ડ વિરુદ્ધ ભારે નારેબાજી કરવામાં આવી હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું. 'જો રાષ્ટ્રગાનનું સન્માન ન થઈ શકતું હોય તો ઈટાલી જતા રહે': બિપિન તળાવીયા સુરત મહાનગર યુવા મોર્ચાના અધ્યક્ષ બિપિન તળાવીયાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ૧૫મી ઑગસ્ટે જ્યારે સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિમાં લીન હતો, ત્યારે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે વંદે માતરમ્ ગાનનું અપમાન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીએ અડધા ગીતે વૉકઆઉટ કરી અસહજતા દર્શાવી, જે સમગ્ર દેશનું અપમાન છે. તેમણે ઉમેર્યું કે, જો સોનિયા ગાંધી દેશની સંસ્કૃતિ કે રાષ્ટ્રગાનનું સન્માન ન કરી શકતા હોય તો તેમણે ઈટાલી પરત જતું રહેવું જોઈએ. ત્યાં તેમના માટે રેસ્ટોરન્ટ કે બાર શરૂ કરવાની વ્યવસ્થા પણ યુવા મોરચો કરી આપશે. શહીદોનું અપમાન કરનારાઓને દેશનિકાલ કરવાની અમે માંગ કરીએ છીએ. 'હનુમાન ચાલીસાથી ભૂત ભાગે તેમ વંદે માતરમ્ સાંભળી ભાગ્યા': ડો. ગ્રીષ્મા સોલંકી ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા ડો. ગ્રીષ્મા સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે 15 ઓગસ્ટના રોજ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન ચાલુ હતું ત્યારે સોનિયા ગાંધી બે વાર 'સ્ટોપ ધીસ, સ્ટોપ ધીસ' બોલીને વિરોધ દર્શાવતા જોવા મળ્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, જેમ હનુમાન ચાલીસા સાંભળીને ભૂત-પિશાચ ભાગી જાય છે, તેમ કોંગ્રેસના નેતાઓ વંદે માતરમ્ સાંભળીને વર્તન કરી રહ્યા હતા. આવા નેતાઓને તાત્કાલિક ઈટાલી મોકલી દેવા જોઈએ.
Read full article on Divya Bhaskar