top
સરદાર કૃષિ નગરમાં મહર્ષિ ચરક મુનિની જન્મજયંતી ઉજવાઈ:પશુચિકિત્સા મહાવિદ્યાલયમાં ચિકિત્સા પરંપરા પર વિશેષ કાર્યક્રમ યોજાયો
સરદારકૃષિનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટીના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના ફાર્મેકોલોજી એન્ડ ટોક્સિકોલોજી તથા એનિમલ ન્યુટ્રિશન વિભાગ દ્વારા મહર્ષિ ચરક મુનિની જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણે મહર્ષિ ચરક મુનિની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને કરી હતી. વિભાગના વડા ડૉ. જે. એચ. પટેલે ઉપસ્થિત સૌનું સ્વાગત કરીને મહર્ષિ ચરક મુનિના જીવન અને આયુર્વેદ તથા ચિકિત્સા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના સહાયક સંશોધન નિયામક ડૉ. અમિત ભડાણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થી ડૉ. નિશિત પટેલે ચરક સંહિતા, ત્રિદોષ સિદ્ધાંત, ઔષધિઓ અને મહર્ષિ ચરકના વૈજ્ઞાનિક વિચારો અંગે જ્ઞાનવર્ધક વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે મહર્ષિ ચરકના સર્વાંગી સારવાર અભિગમ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિ તેમજ રોગના મૂળ કારણોને ધ્યાનમાં રાખીને સારવાર કરવાની દૃષ્ટિ તેમના વિચારોમાં જોવા મળે છે. આ કાર્યક્રમમાં ડૉ. સી. એમ. મોદી, ડૉ. એચ. એ. પટેલ, ડૉ. આર. બી. મકવાણા સહિતના વરિષ્ઠ પ્રાધ્યાપકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા ભારતીય ચિકિત્સા પરંપરાના ગૌરવશાળી વારસાને યાદ કરીને મહર્ષિ ચરકના જ્ઞાન અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar