સુરેન્દ્રનગરમાં 79 શાહુકારો પર તંત્રની તવાઈ: ભાજપ નેતા રાજુ કરપડા સહિતના લાયસન્સ રદ કરાયા
Surendranagar money lenders news: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર અને નિયમોની ઐસીતૈસી કરીને ઊંચા વ્યાજે નાણાં ધીરતા શાહુકારો સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-2011 હેઠળ હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણી ઝુંબેશમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 79 જેટલા શાહુકારોનાં લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. વ્યાજખોરીના દૂષણને ડામવા માટે લેવાયેલા આ આકરા પગલાને પગલે સમગ્ર જિલ્લાના કાળાબજારીયાઓ અને વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ કાર્યવાહીમાં સૌથી નોંધપાત્ર અને ચોંકાવનારી બાબત એ છે કે, લાયસન્સ ગુમાવનારા શાહુકારોના લિસ્ટમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન રાજુ કરપડાનું નામ પણ સામેલ છે. આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને રાજકીય વગ ધરાવતા રાજુ કરપડા સામે પણ તંત્રએ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના સમાન ધોરણે કાયદાકીય પગલાં ભર્યા છે. આ ઘટના સ્પષ્ટ સંદેશ આપે છે કે વહીવટી તંત્ર ગેરરીતિ આચરનારા કોઈપણ વગદાર વ્યક્તિને બક્ષવાના મૂડમાં નથી.
જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા વેપારીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અનેક ગંભીર બેદરકારીઓ અને ગેરરીતિઓ સપાટી પર આવી હતી:
હિસાબોમાં ગેરરીતિ: મોટાભાગના શાહુકારો દ્વારા દર મહિને રજૂ કરવાના થતા માસિક હિસાબોમાં અનિયમિતતા જોવા મળી હતી.
ઓડિટ રિપોર્ટનો અભાવ: પારદર્શિતા જાળવવા માટે જરૂરી એવા ઓડિટ રિપોર્ટ સમયસર તૈયાર ન કરવા અથવા રજૂ ન કરવા.
લાયસન્સ રિન્યુઅલમાં બેદરકારી: સમયમર્યાદા વીતી જવા છતાં લાયસન્સનું રિન્યુઅલ ન કરાવવું.
વધુ વ્યાજની વસૂલાત: સરકાર દ્વારા નિર્ધારિત ધારાધોરણો કરતાં ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવું.
આ તમામ ક્ષતિઓને અત્યંત ગંભીરતાથી લઈને તંત્રએ માત્ર 79 શાહુકારોના લાયસન્સ રદ જ નથી કર્યા, પરંતુ એક આકરો નિર્ણય પણ લીધો છે. આ તમામ લોકોને આવનારા 3 વર્ષ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં નાણાં ધીરધારનો વ્યવસાય કરવા માટે નવું રજિસ્ટ્રેશન મેળવવા માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને એક ખાસ અપીલ કરવામાં આવી છે. તંત્રએ લોકોને સાવચેત કરતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પાસેથી લોન લેતા પહેલાં તેમનું અધિકૃત લાયસન્સ અને વ્યાજદર અચૂક ચકાસી લેવા જોઈએ. જો કોઈ શાહુકાર નિયત દર કરતાં વધુ વ્યાજ વસૂલતો હોય કે ધાકધમકી આપતો હોય, તો ડર્યા વિના તાત્કાલિક તેની જાણ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી અથવા નજીકના પોલીસ મથકમાં કરવી. તંત્રની આ ઝુંબેશથી સામાન્ય વર્ગના લોકોને વ્યાજખોરોના વિષચક્રમાંથી બચાવવામાં મોટી સફળતા મળશે તેવી દઢ આશા છે.