top
સુરેન્દ્રનગરમાં 79 શાહુકારોના લાયસન્સ રદ્દ:કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં નાણાં ધીરધારની પ્રવૃત્તિઓ કાયદેસર અને પારદર્શક બને તેમજ નાગરિકોનું આર્થિક શોષણ અટકે તે હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત 79 શાહુકારોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ 79 શાહુકારોના લાયસન્સ કલમ-15 (1) હેઠળ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. કલમ-15 (2) મુજબ, તેમને આદેશની તારીખથી ત્રણ વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં નવું રજિસ્ટ્રેશન મેળવવા માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તંત્રની ચકાસણીમાં સામે આવ્યું છે કે, કેટલાક શાહુકારોએ કાયદા હેઠળની ફરજિયાત કાયદાકીય કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી હતી. લાયસન્સ ધારક શાહુકારોએ અધિનિયમ-2011ની કલમ-21(1) હેઠળ જરૂરી માસિક હિસાબો અને પત્રકો નિયમિત રીતે કચેરીમાં રજૂ કરવા ફરજિયાત છે. વધુમાં, દરેક નાણાકીય વર્ષના ધિરાણ વ્યવહારોના હિસાબોનું નિયત સમયમર્યાદામાં વાર્ષિક ઓડિટ કરાવી તેનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવો પણ ફરજિયાત છે. 50 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે અને 50 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પાસેથી વાર્ષિક ઓડિટ કરાવવાનું હોય છે. લાયસન્સની મુદત પૂર્ણ થાય તે પહેલાં રિન્યુઅલની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી પણ આવશ્યક છે. તંત્ર દ્વારા નાગરિકોને ગેરકાયદેસર વ્યાજ વસૂલાત અને આર્થિક શોષણથી બચાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. કાયદા મુજબ, તારણવાળા ધિરાણ (Secure Loan) માટે વાર્ષિક મહત્તમ 12% વ્યાજ દર અને વગર તારણના ધિરાણ (Unsecured Loan) માટે વાર્ષિક મહત્તમ 15% વ્યાજ દર નિર્ધારિત કરાયો છે. જો કોઈ શાહુકાર નિયત મહત્તમ દર કરતાં વધુ વ્યાજ વસૂલતો હોય, તો નાગરિકોને સંબંધિત કચેરીનો સંપર્ક કરી જાણ કરવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને વિશેષ અનુરોધ કરવામાં આવે છે કે, કોઈપણ પ્રકારનું ધિરાણ કે લોન લેતી વખતે સંબંધિત શાહુકારનું લાયસન્સ માન્ય છે કે નહીં, વસૂલવામાં આવતો વ્યાજ દર કાયદેસર મર્યાદામાં છે કે નહીં તથા ધિરાણની અન્ય શરતો નિયમોનુસાર છે કે નહીં તેની પૂરતી ચકાસણી કરીને જ નાણાકીય વ્યવહારો કરવા. જો કોઈ પણ શાહુકાર દ્વારા ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય, નિયમોનું ઉલ્લંઘન થતું જણાય કે અનિયમિતતા સામે આવે તો તુરંત જ સરકારી કચેરીનો સંપર્ક કરવો.
Read full article on Divya Bhaskar