business
સુરેન્દ્રનગરમાં નગરપાલિકાના પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો:નગરપાલિકા અધિનિયમની વિસ્તૃત જાણકારી અપાઈ, પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ
રેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં નગરપાલિકાના પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ઉપરાંત પાટડી, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને થાનગઢ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રતિનિધિઓને વહીવટી કામગીરીમાં સરળતા રહે તે માટે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-1949 અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાયદાકીય જોગવાઈઓ અને વહીવટી પ્રક્રિયાની સમજણ સાથે શહેરી વિકાસના કામોને વધુ અસરકારક રીતે આગળ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રજાલક્ષી વિકાસ માટે આયોજનબદ્ધ કામગીરી પર ભાર મુકાયો પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ શહેરી વિકાસ વિભાગને પરિવાર સમાન ગણાવી સૌએ સાથે મળીને કામ કરવાની અપીલ કરી હતી. તેમણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે શહેરોમાં હવે માત્ર નળ, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરતી નથી, પરંતુ આધુનિક શહેરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આ માટે વિકાસના કામોનું યોગ્ય આયોજન કરીને સમયસર અમલીકરણ કરવા તેમણે ભાર મૂક્યો હતો. પર્યાવરણ અને જળસંચય અંગે મંત્રીએ 'કેચ ધ રેઈન' અભિયાનને સફળ બનાવવા વરસાદી કૂવા બનાવવા તેમજ તળાવો ઊંડા કરવા માટે મળતી સરકારી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપી હતી. વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભવિષ્યમાં પાણીની સમસ્યા ઘટે તે દિશામાં નગરપાલિકાઓએ અસરકારક કામગીરી કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ગ્રીન કવર વધારવા વધુમાં વધુ વૃક્ષારોપણની અપીલ શહેરોમાં હરિયાળી વધારવા માટે મુખ્યમંત્રી દ્વારા દરેક નગરપાલિકાને ફાળવવામાં આવનાર રૂ.10 લાખની સહાયનો ઉલ્લેખ કરી મંત્રીએ સુરેન્દ્રનગરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. ગ્રીન કવર વધારી પર્યાવરણનું જતન કરવા માટે નગરપાલિકાઓએ આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ગુજરાતના સપનાને સાકાર કરવા સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓને સ્વચ્છતામાં નંબર વન બનાવવાની દિશામાં કામગીરી કરવા મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું. શહેરોમાં સ્વચ્છતા જળવાય, કચરાના યોગ્ય નિકાલ સહિતની વ્યવસ્થાઓ વધુ સુદૃઢ બને તે માટે સ્થાનિક સંસ્થાઓને સક્રિય રહેવા સૂચના આપવામાં આવી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન જરૂરી પ્રજાની પારદર્શક વહીવટ અને સારા કામની અપેક્ષાઓ પૂર્ણ કરવા ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચે સારો સંકલન જરૂરી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. કાઉન્સિલરોએ પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસકામો માટે સતત ફોલોઅપ રાખવો જોઈએ, જેથી પ્રજાને સમયસર સુવિધાઓ મળી શકે અને તેમના કાર્યોને લોકો લાંબા સમય સુધી યાદ રાખે. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, મેયર રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાંપાનેરી સહિત વિવિધ નગરપાલિકાઓના પ્રમુખો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar