politics
સુરત મનપામાં કરોડોના ખુલ્લા પ્લોટ કૌભાંડના આક્ષેપ:CVCની ગાઇડલાઇન નેવે મૂકી મળતિયાઓને લહાણી, લોકાયુક્ત અને વિજિલન્સમાં ફરિયાદ બાદ હાઇકોર્ટમાં જવાની ચીમકી
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2021થી સેન્ટ્રલ વિજીલન્સ કમિશન (CVC)ની માર્ગદર્શિકાનો અનાદર કરી મનસ્વી રીતે કિંમતી ખુલ્લા પ્લોટો મળતિયાઓને ફાળવીને મનપાની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર આક્ષેપ થયો છે. અસલમ સાયકલવાલા દ્વારા ગુજરાત લોકાયુક્ત બિરેન વૈષ્ણવ અને ગુજરાત તકેદારી આયોગના સચિવને લેખિત રજૂઆત કરી આ મામલે તટસ્થ તપાસ કરાવવા, CVCની ગાઇડલાઇન મુજબ ઓનલાઇન ટેન્ડરથી ફાળવણી કરવા અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરી નુકસાની વસૂલવા માંગણી કરવામાં આવી છે. ખુલ્લા પ્લોટ 6 મહિના માટે હંગામી ધોરણે ફાળવી દેવાયા રજૂઆત મુજબ, વર્ષ 2021માં તત્કાલીન સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલના સમયથી શરૂ થયેલી આ પ્રથા વર્તમાન અધ્યક્ષ રાજન પટેલના કાર્યકાળમાં પણ ચાલુ છે. સમિતિની સાપ્તાહિક સભામાં એજન્ડા સિવાયના વધારાના કામ તરીકે દરખાસ્તો લાવી, ઠરાવ પસાર કરીને કિંમતી ખુલ્લા પ્લોટ 6 મહિના માટે હંગામી ધોરણે ફાળવી દેવાયા છે. ત્યારબાદ જાહેર ટેન્ડર બહાર પાડવાને બદલે દર 6 મહિને તેની મુદત રિન્યુ કરવામાં આવે છે. ફૂડ ઝોન, હેન્ડલૂમ, પાર્કિંગ વગેરે જેવા વ્યવસાયિક હેતુઓ માટે બજાર ભાવ કરતાં અત્યંત નજીવા દરે ફાળવેલા આ પ્લોટોમાં આગળ પેટા ભાડૂતો રાખીને લાખો રૂપિયા મેળવવામાં આવે છે. આ સમગ્ર ગેરકાયદે નિર્ણય સામે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પણ મૌન રહ્યા હોવાનો આક્ષેપ છે. તમામ ઝોનમાં 200 ખુલ્લા પ્લોટો ફાળવવામાં આવ્યા સમગ્ર સુરતમાં તમામ ઝોનના આશરે 200 ખુલ્લા પ્લોટો આવી રીતે ફાળવવામાં આવ્યા છે, જેમાં એકલા રાંદેર ઝોનના જ 33 પ્લોટ શામેલ છે. રાંદેર ઝોનના વરીયાવ ટીપી-37 (ફાઈનલ પ્લોટ 98, 105, 108), પાલ ટીપી-10 (ફાઈનલ પ્લોટ 215), પાલ ટીપી-16 (ફાઈનલ પ્લોટ 115), અડાજણ ટીપી-13 (ફાઈનલ પ્લોટ 129 પૈકી) અને પાલનપુર ટીપી-8 (ફાઈનલ પ્લોટ 129) જેવા અત્યંત કિંમતી પ્લોટોની મુદત પૂરી થવા છતાં અને નોટિસ અપાઈ હોવા છતાં રાજકીય પીઠબળના કારણે તેનો કબજો પાછો સોંપવામાં આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી આ બાબતે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસનને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં તંત્ર દ્વારા આ અંગે યોગ્ય અને સકારાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સુરત મહાનગરપાલિકાના આર્થિક હિતોના રક્ષણ અર્થે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar