crime
સુરતમાં આત્મહત્યા કરનાર ડો.હર્ષ પંડ્યાની મોડાસામાં અંતિમયાત્રા:એકનો એક પુત્ર ગુમાવતા પરિવારનું હૈયાફાટ રુદન, મોડાસામાં શોકમય વાતાવરણમાં અંતિમવિધિ
મોડાસાના વતની અને સુરત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ સુરતની પીજી હોસ્ટેલમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હર્ષનો મૃતદેહ આજે માદરે વતન મોડાસા લાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે સમાજના રીત-રિવાજ મુજબ તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. રેસિડેન્ટ ડોક્ટર તરીકે સુરતમાં અભ્યાસ કરતા હતા હર્ષ હર્ષ પંડ્યા મોડાસાના નિવૃત્ત તબીબ ડો. સુભાષ પંડ્યાના પુત્ર હતા. તેમના પિતા ડો. સુભાષ પંડ્યા CHCમાં મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા. હર્ષ તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને ડોક્ટર બનવાના સપના સાથે સુરત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. પીજી અભ્યાસ દરમિયાન તે રેસિડેન્ટ ડોક્ટર તરીકે હોસ્ટેલમાં રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી રેગિંગથી પરેશાન હોવાનો પરિવારનો આક્ષેપ પરિવારના જણાવ્યા મુજબ હર્ષ છેલ્લા કેટલાક મહિનાથી સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી રેગિંગથી પરેશાન હતો. રેગિંગ અંગે તેણે અનેક વખત ફરિયાદ પણ કરી હોવાનું તેના પિતા ડો. સુભાષ પંડ્યાએ જણાવ્યું છે. જોકે, આ જ કારણસર હર્ષે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ આત્મહત્યાના ચોક્કસ કારણો અંગે સ્પષ્ટતા થઈ શકશે. એકના એક પુત્રને ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હર્ષ માતા-પિતાનો એકનો એક વ્હાલસોયો પુત્ર હતો. માતા-પિતાએ અનેક આશાઓ સાથે તેને ડોક્ટર બનાવવાનું સપનું જોયું હતું. પરંતુ અચાનક હર્ષના આત્મહત્યાના સમાચાર મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આજે મૃતદેહ મોડાસા પહોંચતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી ઉપસ્થિત સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા. એન્ટી રેગિંગ કાયદાના કડક અમલની પિતાની માંગ હર્ષના પિતા ડો. સુભાષ પંડ્યાએ જણાવ્યું હતું કે દેશમાં એન્ટી રેગિંગ કાયદો અમલમાં છે, પરંતુ તેની વાસ્તવિક અમલવારી અંગે પ્રશ્નો ઉભા થાય છે. તેમના જણાવ્યા મુજબ અનેક વિદ્યાર્થીઓ રેગિંગની સમસ્યાનો સામનો કરતા હોવા છતાં પાછળના બારણે રેગિંગ ચાલુ રહેતું હોવાની ફરિયાદો સામે આવતી રહે છે. જુનિયર અને સિનિયર વિદ્યાર્થીઓ વચ્ચે રેગિંગના પ્રશ્નો ન સર્જાય તે માટે કાયદાનો ચોક્કસ અને કડક અમલ થવો જોઈએ. હર્ષે રેગિંગ અંગે અગાઉ પણ ફરિયાદ કરી હતી: પિતા ડોક્ટર સુભાષ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે હર્ષે રેગિંગ બાબતે ઘણી વખત ફરિયાદ કરી હતી. તેમ છતાં પરિસ્થિતિમાં યોગ્ય સુધારો ન થતાં અંતે આ દુઃખદ ઘટના બની હોવાનો પરિવારનો આક્ષેપ છે. હર્ષની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
Read full article on Divya Bhaskar