top
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મામલે હોબાળો:હાઇકોર્ટની બાંહેધરીથી વિપરીત ડ્રો યોજાતાં વકીલ-અસરગ્રસ્તોનો વિરોધ, 31 તારીખે હાઇકોર્ટમાં સુનાવણી
સુરત શહેરના નાસીરનગર વિસ્તારમાં ડિમોલિશનનો ભોગ બનેલા અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અને વૈકલ્પિક આવાસ ફાળવણીની પ્રક્રિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોન ખાતે ભારે હોબાળો સર્જાયો છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે આવાસનો ડ્રો શરૂ કરવામાં આવે તે પૂર્વે જ અસરગ્રસ્તો અને તેમના વકીલે ગુજરાત હાઇકોર્ટમાં અપાયેલી બાંહેધરીનો ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કરી કાર્યવાહી અટકાવી દીધી હતી. હાઇકોર્ટમાં આપેલા વચન મુજબ જહાંગીરાબાદમાં 1-BHK મકાન ફાળવવાને બદલે અન્ય વિસ્તારોમાં માત્ર એક રૂમ-રસોડાના મકાનો ફાળવવામાં આવતા હોવાના વિરોધ સાથે સમગ્ર મામલો ફરી એકવાર હાઇકોર્ટના દરબારમાં પહોંચ્યો છે. હાઇકોર્ટમાં આપેલા વચનનો ભંગ થયો હોવાનો વકીલનો દાવો નાસીરનગર ડિમોલિશનમાં અસરગ્રસ્ત થયેલા કુલ 69 પરિવારો પૈકી પ્રથમ તબક્કાના 28 અસરગ્રસ્તો માટે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવાસ ફાળવણીના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ડ્રો શરૂ થતાં જ અસરગ્રસ્તોના એડવોકેટ ધવલ રાણાએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મનપા તંત્ર દ્વારા એવી બાંહેધરી આપવામાં આવી હતી કે અસરગ્રસ્તોને જહાંગીરાબાદ સ્થિત 'સુમન વંદન' અને 'સુમન વાણી' આવાસ યોજનામાં કોઈપણ પ્રકારના ડાઉન પેમેન્ટ કે ડિપોઝિટ વિના 1-BHK મકાનો ફાળવવામાં આવશે. આજે અચાનક તંત્ર ભેસ્તાન તેમજ અડાજણ એલ.પી. સવાણી રોડ પર આવેલા માત્ર 1 રૂમ-રસોડા (EWS) વાળા મકાનોનો ડ્રો કરી રહ્યું છે. 10 થી 20 સભ્યો ધરાવતા પરિવારો આ નાની ઓરડીમાં રહી શકે નહીં. એફિડેવિટથી વિપરીત કામગીરી સામે આગામી 31 તારીખે હાઇકોર્ટ સમક્ષ સમગ્ર હકીકત રજૂ કરવામાં આવશે. પાલિકા નિયમાનુસાર જ કામ કરી રહી છે: સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઇજનેર બીજી તરફ સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ ગાંજાવાલાએ પાલિકાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે અદાલતના નિર્દેશોને ધ્યાને રાખીને જ અસરગ્રસ્તોને વિધિવત્ આવાસ ફાળવણીના પત્રો પાઠવવામાં આવ્યા હતા. JNNURM અને RAY યોજના અંતર્ગત ઉપલબ્ધ આવાસો માટે આ ડ્રો યોજવામાં આવ્યો હતો. જ્યાં સુધી 'સુમન વંદન' આવાસનો પ્રશ્ન છે, તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવતા હોવાથી તેમાં કોઈપણ વ્યક્તિને આ પ્રકારે વિનામૂલ્યે મકાન આપવાની નીતિ નથી. પાલિકા દ્વારા જે આવાસો ફાળવાઈ રહ્યા છે તે સંપૂર્ણપણે રહેવા યોગ્ય અને સુવિધાયુક્ત છે. હવે આ મામલે નામદાર હાઇકોર્ટ જે પણ આગળના આદેશ કરશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રો પ્રક્રિયા અટકી, મામલો ફરી ગુજરાત હાઇકોર્ટ પહોંચશે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે બંને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર દલીલો અને ઘર્ષણના કારણે આવાસ ફાળવણીનો ડ્રો અધવચ્ચેથી જ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. અસરગ્રસ્તોએ અન્ય સ્થળોએ ફાળવાતા મકાનો સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પરિણામે છેલ્લા ઘણા સમયથી ઘરવિહોણા બનેલા પરિવારોના પુનર્વસનનો પેચ વધુ ગૂંચવાયો છે અને હવે આગામી દિવસોમાં હાઇકોર્ટના આખરી નિર્ણય પર સૌની નજર ટકેલી છે.
Read full article on Divya Bhaskar