politics
સુરતના સ્વચ્છતામાં નંબર-1 ના દાવા પોકળ:JTC કંપનીને કરોડોની લહાણી છતાં શેરીઓમાં ગંદકીના ગંજ, ભાજપ શાસકો સામે પૂર્વ કોર્પોરેટરના આકરા પ્રહાર સાથે આંદોલનની ચીમકી
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં અગ્રેસર રહેતા સુરત શહેરમાં ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરવાની કામગીરી સંપૂર્ણપણે ખાડે ગઈ હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દેશભરમાં સ્વચ્છતાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સુરત શહેરની કચરો કલેક્શન સિસ્ટમ સાવ ‘કચરામાં’ ગઈ છે. પાલિકા તંત્ર દ્વારા JTC કંપનીને દર વર્ષે કરોડો રૂપિયાની લહાણી કરવામાં આવતી હોવા છતાં, સામાન્ય જનતા આજે પણ ગંદકી અને કચરાના ઢગલા વચ્ચે જીવવા મજબૂર બની છે. ત્રણ-ત્રણ દિવસ સુધી કચરાની ગાડીઓ ફરકતી નથી: વિપુલ સુહાગીયા વિપુલ સુહાગીયાએ પાલિકા તંત્ર અને ભાજપ શાસકો સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સોસાયટીઓમાંથી નિયમિત કચરો ઉપાડવામાં તેમજ તેને ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ સુધી પહોંચાડવામાં JTC કંપની સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. શહેરની અનેક સોસાયટીઓમાં બબ્બેથી ત્રણ-ત્રણ દિવસ સુધી કચરાની ગાડીઓ ફરકતી પણ નથી. નાગરિકો સવારે કચરાપેટી લઈને ગાડીઓની રાહ જોતા રહે છે, પરંતુ વાહનો ન આવતા લોકોને નાછૂટકે જાહેર જગ્યાઓ પર કચરો નાખવાની ફરજ પડે છે. આ અનિયમિતતાના કારણે શહેરના મુખ્ય માર્ગો, શેરીના નાકાઓ અને ખુલ્લા પ્લોટ પર કચરાના ગંજ ખડકાઈ ગયા છે, જેથી ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ‘JTC કંપની સામે કડક દંડાત્મક પગલાં ભરે’ તેમણે વધુમાં ઉમેર્યું કે સુરતના કરદાતા નાગરિકોની પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલીને કામચોર ઈજારદારોને ચૂકવવામાં આવી રહ્યો છે. પ્રજા મૂળભૂત સુવિધાઓ માટે ત્રાહિમામ પોકારી રહી છે, જ્યારે શાસકોના મળતિયા ઈજારદારો કોઈ પણ નક્કર કામગીરી વગર માલામાલ થઈ રહ્યા છે. પાલિકા પ્રશાસન તાત્કાલિક ઊંઘમાંથી જાગીને નિષ્ફળ ગયેલી JTC કંપની સામે કડક દંડાત્મક પગલાં ભરે અને નિયમિત કચરો કલેક્શન સુનિશ્ચિત કરે તેવી લોકહિતમાં ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા આ મામલે તાકીદે કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
Read full article on Divya Bhaskar