top
સ્વામિનારાયણ સંસ્થા પાસે આંદોલનના નામે NSUI નેતાએ 25 લાખ માગ્યા:શિક્ષણ સંસ્થાને મોડી રાત્રે કોલ કરી ધમકાવી ખંડણી માગ્યાનો આક્ષેપ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલી પ્રતિષ્ઠિત શ્રી સ્વામીનારાયણ વિશ્વ મંગલ ગુરૂકુલ અને યુનિવર્સિટીના સંચાલક ભક્તવત્સલ સ્વરૂપદાસજી સ્વામી દ્વારા NSUI નેતા સુધીર પી. રાવલ વિરુદ્ધ ₹25 લાખની તોતિંગ ખંડણી માંગવા અને સંસ્થાને બદનામ કરવાની ધમકી આપવા બદલ કલોલ તાલુકા પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિક્ષણ સંસ્થાને ટાર્ગેટ બનાવીને બ્લેકમેલિંગ કરવાના આ બનાવથી શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થી હિતની આડમાં ખંડણી અને બ્લેકમેલિંગનું મોટું ષડયંત્ર વિદ્યાર્થી હિત અને આંદોલનની ઓથ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવવાના ગંભીર ષડયંત્રનો આ મામલે પર્દાફાશ થયો છે. કલોલ સ્થિત વિશ્વ મંગલ ગુરૂકુલને નિશાન બનાવી ગેરકાયદે નાણાં પડાવવા નીકળેલા વિરમગામના NSUI નેતા સુધીર રાવલ સામે ગુનાહિત ધમકી અને ખંડણી વસૂલવા અંગે કલોલ તાલુકા પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે કોલ કરી ₹25 લાખ ન ચૂકવે તો તાળા મરાવી દેવાની ધમકી આપી પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર, ગત 18 જૂનના રોજ મોડી રાત્રે આરોપી સુધીર પી. રાવલે સંસ્થાના સ્વામીજીના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ મોકલી ત્યારબાદ ફોન કોલ કર્યો હતો. વાતચીતમાં તેણે અગાઉ પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સામે આંદોલનો કર્યા હોવાનો રોફ જમાવીને હવે આ ગુરૂકુલનો વારો હોવાનું જણાવ્યું હતું. તેણે સીધી ₹25 લાખની માંગણી કરી ચેતવણી આપી હતી કે જો આ રકમ નહીં ચૂકવાય તો આંદોલન છેડી સંસ્થાની છબી ખરડી દેશે અને કેમ્પસને તાળા મરાવી દેશે. સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર અને આરોગ્ય સચિવને પત્ર લખી વાયરલ કર્યો સંસ્થા દ્વારા ખંડણીની રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાતાં સુધીર રાવલે 18 જુલાઈથી 28 ઓગસ્ટ દરમિયાન વિવિધ મોબાઈલ નંબરો પરથી વોટ્સએપ મેસેજ, સ્ટેટસ અને ફેસબુક પર સંસ્થા વિરુદ્ધ વાંધાજનક લખાણો પોસ્ટ કર્યા હતા. આ ઉપરાંત તેણે 1 સપ્ટેમ્બરના રોજ પોતાના સંગઠનના લેટરપેડ પર રાજ્યના આરોગ્ય સચિવને ઉદ્દેશીને મહીસાગર તાલુકા હેલ્થ સેન્ટરની જમીન ફાળવણી રદ્દ કરવા બાબતે પાયાવિહોણી રજૂઆતો કરી તે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સતત તોડબાજીથી કંટાળીને સંચાલકોએ પુરાવાઓ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar