crime
તબીબી આલમમાં શોકનું મોજું:ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા યુવાન તબીબનું ભીમપુરા કેનાલમાં ડૂબી જતા મોત, મિત્રો સાથે ગયેલા તબીબનો પગ લપસતા દુર્ઘટના
વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસેની નર્મદા કેનાલ પર એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. ગોત્રી જનરલ હોસ્પિટલમાં સ્કિન (ડર્મેટોલોજી) વિભાગમાં ફાઈનલ યરમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. દર્શન દીડિયાનું કેનાલમાં ડૂબી જવાથી અકાળે અવસાન થયું છે. મૂળ ખંભાતના વતની અને ઉભરતા તબીબના અચાનક થયેલા અવસાનથી તેમના પરિવારજનો તેમજ તબીબી આલમમાં ભારે શોકની કાલિમા વ્યાપી ગઈ છે. પગ લપસતા ઊંડા પાણીમાં ગરક ડો. દર્શન પોતાના બે મિત્રો સાથે ભીમપુરા પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ગયા હતા. તે દરમિયાન અચાનક પગ લપસી જતાં અથવા અકસ્માતે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીના વહણમાં ડૂબી જતાં તેમનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. ઘટના જોઈને સાથે આવેલા મિત્રો તથા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ અંગે પોલીસ વિભાગને જાણ કરી હતી. જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને બચાવ ટુકડી તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ભારે જહમત બાદ ડોક્ટરના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે. આ હૃદયદ્રાવક બનાવની જાણ મૃતક ડોક્ટરના પરિવારજનોને કરવામાં આવતાં તેઓ તુરંત ખંભાતથી ગોત્રી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પહોંચેલા પરિવારજનોના અશ્રુભીના ક્રંદન અને આક્રંદથી સમગ્ર માહોલ અત્યંત ગમગીન બની ગયો હતો. પોતાની આશાસ્પદ કારકિર્દીના આરે પહોંચેલા યુવાન ડોક્ટરને ગુમાવતાં ગોત્રી હોસ્પિટલના તબીબો, સહકર્મીઓ અને મિત્રોમાં પણ ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ છે.
Read full article on Divya Bhaskar