politics
વેરાવળમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ યોજાયું:પરેડ, સલામી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું કલેક્ટર-એસ.પી.એ નિરીક્ષણ કર્યું
વેરાવળમાં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 15મી ઓગસ્ટે કે.સી.સી. મેદાન ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમનું આજે રિહર્સલ યોજાયું હતું. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ રિહર્સલમાં જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા સહિત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રિહર્સલનો હેતુ 15મી ઓગસ્ટના મુખ્ય કાર્યક્રમની સમગ્ર રૂપરેખાને વાસ્તવિક કાર્યક્રમની જેમ રજૂ કરવાનો હતો. રિહર્સલ દરમિયાન પરેડનું નિરીક્ષણ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી તેમજ અન્ય વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમોનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી તૈયારીઓની વિગતો મેળવી હતી. તેમણે કાર્યક્રમ સુચારુ રીતે પાર પડે અને કોઈ અગવડતા ન સર્જાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. 15મી ઓગસ્ટના જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને કાર્યક્રમના સંચાલન સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. નાગરિકો સરળતાથી ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરે જિલ્લાના વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને વેરાવળના નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરી છે.
Read full article on Divya Bhaskar