top
વિચારોના વૃંદાવનમાં:નરસંહારથી વિશ્વશાંતિ તરફ દોરી જતી યુગોની વેદના
એડવિન બ્રોકના કાવ્યનું મથાળું છે : ‘હાઉ ટુ કિલ અ મેન.’ મરવા અને મારવાની તરકીબોની વિકાસગાથા કવિએ ઇતિહાસના વૃક્ષ પર વીંટળાયેલી વેદનાની વેલ જેવી પંક્તિઓમાં વર્ણવી છે. કવિતા વાંચતી વખતે એવું લાગે જાણે એમાં હકીકતોની અકવિતા રજૂ થઈ છે, પરંતુ અંતે મૂકેલી ચાર પંક્તિઓમાં કવિતા માંડ સિદ્ધ થતી દીસે છે. પ્રથમ ચાર ચરણોમાં માણસને મારવાની રૂઢિગત રીતરસમો ઇતિહાસના ક્રમમાં આવરી લીધી છે. શરૂઆત થાય છે ઈસુના ક્રૂસારોહણથી. ‘માણસને મારવાના કષ્ટદાયી રસ્તાઓ ઘણા છે. તમે એની પાસે લાકડાનું પાટિયું ઊપડાવીને, એ જ પાટિયા પર ખીલા ઠોકીને એને જીવતો જડી દઈ શકો ! આ કામ યોગ્ય રીતે પાર પાડવા માટે પગરખાં પહેરીને ઊભેલું ટોળું જરૂરી બને છે. કૂકડો કૂકડે... કૂક કરે અને પહેરણના લીરા ઊડે ત્યારે સરકો જોઈએ, વાદળી જોઈએ અને ખીલા પર હથોડો વીંઝવા માટે એક આદમી પણ જોઈએ!’ કાવ્યના બીજા ચરણમાં દમામભેર યુદ્ધમાં જતા લશ્કરની વાત આવે છે. ક્યારેક તો લડાઈને અંતે હાર થયા પછી મોતને ભેટવું પડે એવા રિવાજની વાત આવે છે. પોલાદને તલવારના આકારમાં ઢાળવામાં આવે છે, જેથી એ લોખંડી પાંજરાના બખ્તરને ભેદીને સામા માણસને વીંધી શકે. આવું કરવા માટે પણ સફેદ ભભકાદાર ઘોડાઓ, વૃક્ષો, ધનુષબાણ ધારણ કરેલા સૈનિકો, બે ધ્વજ, એક રાજકુમાર અને વળી વિજયોત્સવ પછીના ભોજન સમારંભ માટે એક કિલ્લો તો જોઇએ જ ને! કાવ્યના ત્રીજા ચરણમાં બીજા વિશ્વયુદ્ધ પછી જાણીતા બનેલા અનેક કોન્સન્ટ્રેશન કેમ્પમાં અજમાવાતી તરકીબોની ઉલ્લેખ છે. બધી ભલાઈ બાજુએ મૂકીને તમારે પવનને પટાવીને માણસ જેવા માણસને ગેસ ચેમ્બરમાં પૂરીને એના પર ગેસ છોડવો પડે. વળી કોન્સન્ટ્રેશન કેમ્પની ચારે બાજુ એકાદ માઇલ સુધી ખાઈઓ ખોદવી પડે, જેથી શિકાર છટકી ન જાય. વળી કેમ્પમાં રહેતા માણસો પર કાળાં, કઠણ, બૂટનો સખત પહેરો, બોમ્બ સીંચવા માટેનાં ખોખાં, થોડો કાદવ, પ્લેગયુક્ત ઉંદરો, ડઝનેક ગીતો અને લોખંડી ટોપા પણ જોઈએ ને! કાવ્યના ચોથા ચરણમાં વિમાનમાંથી થતાં બોમ્બમારાની વાત આવે છે. માણસને મારી નાખવાની સુવિધા હવે ખાસી વધી ગઈ છે. મરી જનારાં છેક નીચે ધરતી પર હોય અને તમે તો આકાશમાં માઈલોની ઊંચાઈ પર! બસ એક નાનું બટન દાબો ત્યાં તો નીચે બધું જ સફાચટ! આમ કરવા માટે તમારે ખાસ બીજું કશું ન જોઈએ. માત્ર તમને જુદા પાડનારો એક સમુદ્ર હોય, બે સરકારો હોય, રાષ્ટ્રના વિજ્ઞાનીઓ હોય, થોડાંક કારખાનાં હોય, માનસિક રુગ્ણતા ધરાવતો એકાદ પાગલ શાસક હોય અને વર્ષો સુધી જેનો ખપ નથી પડવાનો એવી ધરતીનો પટ હોય એટલે પત્યું! છેલ્લા ચરણમાં કવિ ઉપર જણાવી તેવી બધી રીતરસમોનું સમાપન કરીને હૃદય વીંધી નાખે તેવી તીખી ટકોર કરે છે: ‘મેં શરૂઆતમાં જ કહ્યું તે પ્રમાણે માણસને મારવાની આ બધી કષ્ટદાયી રીતો છે. એને બદલે સાવ સરળ, સીધીસટ અને વળી અધિક સ્વચ્છ રીત તો એ છે કે એ બાપડાને વીસમી સદીમાં જીવવાનું ગોઠવી આપવું અને બસ એને છુટ્ટો મેલી દેવો!’ હવે એકવીસમી સદીની વાત કરીએ. એકવીસમી સદીમાં કદાચ માણસને સાવ જૂની અને કષ્ટદાયી તરકીબો વડે મારવાની જરૂર નહીં પડે. જીવવાનું જ એટલું વસમું બની રહ્યું છે કે માણસ સતત કણસતો રહે, વીંધાતો રહે અને ચિત્કારતો રહે. એ બાપડો સતત મરતો રહે, જેથી મરે છે એની ખબર પણ ન પડે. આવા પ્રતિક્ષણ થતા મૃત્યુની વેદના આસામના કવિ નીલમણિ ફૂકનના કાવ્યમાં આબાદ છતી થઈ છે: ‘એ તો મારી ઊંઘમાંય પૂંઠે પૂંઠે આવી! અત્યારે એ ક્યાં હશે? એના ચહેરા પર મૂળસોતા ઉખડેલા વૃક્ષની છબી હશે ખરી? શું બે રાતીચોળ નદીઓ હજીય બે હોઠોને નવરાવતી હશે ખરી? શું એની બે આંખોમાં બે શ્યામ અશ્વો સચવાઈ રહ્યા હશે ખરા? હજી આજે પણ તેઓ મારા હૃદયને કચડી રહ્યા છે.’ કહે છે કે દરિયામાં જે મોતી પાકે તે તો કાલુ માછલીની વેદનાનું પરિણામ છે. એ માછલી જ્યારે છીપમાં પ્રવેશે ત્યારે તેમાં રહી ગયેલો રેતીનો કણ માછલીની અસહ્ય પીડાનું કારણ બની જાય છે. આ પીડામાંથી છૂટવા માટે માછલીના શરીરમાંથી જે ચીકણો મીણ જેવો પદાર્થ ઝરે તે જ ચમકતું મોતી બની રહે છે. રાલ્ફ વાલ્ડો ઈમર્સન કહે છે : ‘It is the wounded oyster that monds its shell with pearl.’ મોતીનો ચળકાટ કાલુ માછલીની પીડાનો પિંડ છે. પાઘડીનો વળ છેડે સદીઓ વીતે તે સાથે સંસ્કૃતિના વિકાસ સાથે માણસને મારવાની પ્રયુક્તિઓ ઉત્તરોત્તર અસરકારક બનતી ચાલી છે. વિજય અને પરાજય વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય એવી સ્થિતિ સર્જાતી જાય છે. આજે નહીં ને આવતીકાલે, આવતીકાલે નહીં ને પરમ દિવસે ‘રક્ત-ટપકતી સો સો ઝોળી’માં પોઢેલી ઘાયલ માનવતા પણ પોતીકી પીડામાંથી છૂટવા વિશ્વશાંતિનું મોતી સર્જે અને પૃથ્વીને અધિક તેજોમય તથા આનંદમય જીવનથી મઢી દે એ અશક્ય નથી. આપણી પીડા અને કાલુ માછલીની પીડા સાવ સરખી! Blog: http://gunvantshah.wordpress.com
Read full article on Divya Bhaskar