politics
વંદે માતરમના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપની કેન્ડલ માર્ચ:જિલ્લા પંચાયત ચોક નજીક કોંગ્રેસ કાર્યાલય પાસે ડીજેના તાલે રાષ્ટ્રગાન લલકાર્યું, રાહુલ - સોનિયાના કરતૂતનો નારેબાજી કરી વિરોધ
15 મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે ભારત દેશના વિરોધ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમનું અપમાન કરાયાના આક્ષેપ સાથે આજે 16 ઓગસ્ટના રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જિલ્લા પંચાયત ચોકથી કાલાવડ રોડ અંડર બ્રિજ સુધી કેન્ડલ માર્ચમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ અને મહિલાઓ જોડાઈ હતી. આ દરમિયાન રઘુપતિ રાઘવ રાજા રામ; સોનિયા ગાંધી કો સદબુદ્ધિ દે ભગવાન, વંદે માતરમના સન્માન માટે યુવા શક્તિ એકજૂટ તેમજ કોંગ્રેસ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પાસે ઊભા રહીને ડીજેના તાલે રાષ્ટ્રગાન લલકાર્યું હતું. આ તકે રાજકોટ શહેરના મેયર ડૉ.શુક્લે વંદે માતરમનું અપમાન કરવું એ શાહજાદા રાહુલ ગાંધી અને રાજમાતા સોનિયા ગાંધીની કરતૂત હોવાનું જણાવ્યું હતું. રાજકોટ શહેરના મેયર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, ભારત દેશે ધ્વજ વંદન માટેની પ્રોટોકોલની ગાઈડલાઈન જાહેર કરી છે તેમ છતાં આ દેશમાં પોતાને મુખ્ય વિરોધ પક્ષ ગણાવતી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં પોતાની જાતને દેશના શહેજાદા અને પોતાને રાજમાતા ગણાવતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના કરતૂત સમગ્ર દેશે જોયા છે. આપણું શરમથી માથું ઝૂકી જાય તે રીતે તે લોકોથી વંદે માતરમનું ગાન સહન નથી થતું અને તેનું અપમાન તે લોકો કરી રહ્યા છે ત્યારે આવી પાર્ટીને જગાડવાની જરૂર છે તેથી રાજકોટ શહેર યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ રાજકોટ શહેરવાસીઓ પોતાનો સ્પષ્ટ અને મક્કમ સંદેશ દિલ્હી સુધી પહોંચાડવા માટે અહીં જોડાયા છીએ. જ્યારે રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લિંબાસીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ભારત દેશમાં 15 મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે વંદે માતરમ્ ગાન ચાલુ હતું ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા અને વંદે માતરમ નું અપમાન કરતા નજરે પડ્યા હતા. જેથી તેના વિરોધમાં આજે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતેથી કાલાવડ રોડ અંડર બ્રિજ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જે દરમિયાન કોંગ્રેસ કાર્યાલય પાસે ઊભા રહી વંદે માતરમનું ગાન કરશું અને શિસ્તમાં કઈ રીતે આ વંદે માતરમનું ગાયન ગાઈ શકાય તેની શિક્ષા આપશું. સામાન્ય લોકોને પણ ખબર હોય કે વંદેમાતરમ ગાનનું સન્માન કરવું જોઈએ ત્યારે રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ખ્યાલ ન હોય તો તેના વિવિધ પગલાં લેવાવા જોઈએ.
Read full article on Divya Bhaskar