politics
વશિયર નદીના બ્રિજના નિર્માણ વિવાદમાં કલેક્ટરને યુથ કોંગ્રેસની ચીમકી:ફાર્મ હાઉસના ફાયદા માટે પ્રજાના નાણાંના દૂરુપયોગનો આક્ષેપ, 13મી ઓગસ્ટથી આમરણાંત ભૂખ હડતાલની ચીમકી
વલસાડના વશિયર અને નનકવાડા ગામને જોડતા બ્રિજ નિર્માણનો વિવાદ હવે ઉગ્ર રાજકીય વળાંક પર પહોંચ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલતાં વિવાદ અંગે સોમવારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસે કલેક્ટરને આખરી ચેતવણી આપતું આવેદન પાઠવ્યું હતું. જેમાં ચીમકી આપી હતી કે જો આગામી 24 કલાકમાં કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ યોજીને પ્રજા સમક્ષ સ્થિતિ સ્પષ્ટ નહીં કરે, તો આગામી 13મી ઓગસ્ટથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમરણાંત ભૂખ હડતાળ પર બેસશે. બ્રિજ પાછળ ₹4.68 કરોડનો જંગી ખર્ચ યુથ કોંગ્રેસના આગેવાનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વશિયર નદી પર બ્રિજ બનાવવા પાછળ અંદાજે ₹3.75 કરોડ અને પ્રોટેક્શન વોલ પાછળ ₹93 લાખ મળીને કુલ ₹4.68 કરોડથી વધુનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે, જે તમામ નાણાં પ્રજાના ટેક્સના છે. દોઢ વર્ષમાં 10 વખત વિવિધ વિભાગોમાં રજૂઆત યુથ કોંગ્રેસના આગેવાન મિત દેસાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા દોઢ વર્ષમાં 5થી 10 વખત કલેક્ટર કચેરી અને સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરી ચૂક્યા છીએ, પરંતુ સ્થાનિક ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદ દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે નિવેદન આપવામાં આવ્યું નથી. જો પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો 13મી ઓગસ્ટથી ભૂખ હડતાળ શરૂ કરીશું. જ્યાં સુધી આ બ્રિજ વિવાદનો યોગ્ય અને પારદર્શક ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ સતત ચાલુ રહેશે. જનતાના પૈસે ફાર્મહાઉસ માલિકને ફાયદાનો આરોપ કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે આ બ્રિજ સામાન્ય જનતાના ઉપયોગ માટે નહીં, પરંતુ કોઈ ખાનગી ફાર્મહાઉસના માલિકની જમીન કે વાડીમાં ઉતારવામાં આવી રહ્યો છે, જેથી તે ખાનગી માલિકીની જમીનના બજારભાવ પાંચ ગણા વધી જાય. જો ફાર્મહાઉસના માલિકે પોતાના ખર્ચે બ્રિજ બનાવ્યો હોત તો કોઈ વાંધો નહોતો, પરંતુ પ્રજાના નાણાંનો આ પ્રકારે થતો દુરુપયોગ ક્યારેય સહન કરવામાં નહીં આવે. યુથ કોંગ્રેસે કઈ કઈ માંગણીઓ કરી? જમીન હસ્તગત કરાય: ફાર્મહાઉસના માલિકે સરકારને લખી આપેલી 6,300 વાર જમીન હજુ સુધી સરકારે પોતાના તાબા હેઠળ કેમ નથી લીધી? તેને તુરંત કલેક્ટર હસ્તક લેવામાં આવે. FSL તપાસ થાય: વશિયર અને નનકવાડા ગામના સરપંચોએ બ્રિજ માટે આપેલા કથિત લેખિત પત્રો બેક ડેટમાં બનાવવામાં આવ્યા હોવાની શંકા છે, જેથી આ પત્રોની તુરંત ફોરેન્સિક (FSL) તપાસ કરાવાય. કલેક્ટર પ્રેસ કોન્ફરન્સ કરે: શરૂઆતથી લઈને અત્યાર સુધીની તમામ સ્થિતિની વાસ્તવિક જાણકારી કલેક્ટર પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને વલસાડની જનતા અને મીડિયા સમક્ષ સ્પષ્ટ કરે. નાણાંની રિકવરી થાય: બ્રિજ અને પ્રોટેક્શન વોલ નિર્માણમાં વપરાયેલા સરકારી નાણાંની જવાબદારો પાસેથી કાયદેસરની રિકવરી કરવામાં આવે. રસ્તા અંગે સ્પષ્ટતા: આ બ્રિજનો ઉપયોગ સામાન્ય પ્રજા માટે કઈ રીતે થશે અને આગળનો રસ્તો ક્યાં નીકળશે તેની જાહેર સ્પષ્ટતા કરવામાં આવે.
Read full article on Divya Bhaskar